વડોદરા મનપાએ ૯ મહિનામાં સોલરથી ૫૦ લાખની વિજળી ઉત્પન્ન કરી

વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાર્યરત કરવામાં આવેલા આ યુનિક પ્રોજેક્ટ માટે ૨૫૨ મીટરની લંબાઇ અને ૪૦ મિટરની પહોળાઇ અને ૧૫.૩૩ મીટરની ઉંચાઇ સાથે ૧૧૨૦૦ ચોરસ ફૂટ વિસ્તારનું સિવિલ કામ કૂલ રૂ. ૨૩.૨૫ કરોડના ખર્ચથી કરવામાં આવ્યું છે. રાત્રિના સમયે આ બ્રિજ ઝળહળે એ માટે રૂફટોપ સોલર નીચે ડેકોરેટિવ કલર લાઇટિંગ કરવામાં આવ્યું છે. અકોટા બ્રિજની ઉપર ૩૨૫ વોટ પાવરની કૂલ ૩૦૨૪ સોલર પેનલ મૂકવામાં આવી છે. તેની સાથે ૭૦ કિલો વોટના ૧૪ સોલર ઇન્વર્ટર્સ અને હજાર કિલો વોટ એમ્પેરની ક્ષમતાનું એક પાવર ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું છે.

સોલર પેનલ બ્લ્યુ વેફર નામના મટિરિયલ્સની છે. જે એલ્યુમિનિયમ અને કોપરની બનેલી હોય છે. સૂર્યપ્રકાશના રેડિએશનથી બ્લ્યુ વેફર ન્યુટ્રોન પ્રવાહમાં લાવે છે અને વીજળી ઉત્પાદિત કરે છે. તમામ પેનલોને વાયવ્ય દિશામાં ૧૨થી ૧૮ ડિગ્રી કાટખૂણે બેસાડવામાં આવી છે. જેથી સૂર્યપ્રકાશ દિનભર મળતો રહે. આ બાબતોને જોતા આ રૂફટોપ સોલર પ્રોજેક્ટથી પ્રતિદિન ૩૯૪૦ યુનિટ અને વાર્ષિક ૧૪ લાખ વીજ યુનિટ ઉત્પાદન થઇ શકે છે.

મજાની વાત એ છે કે, ગુજરાતની ભૌગોલિક સ્થિતને જોતા સામાન્ય સંજોગોમાં સવારના ૭.૩૦ વાગ્યાથી સાંજના ૫.૪૫ વાગ્યા સુધી સોલર પેનલ થકી સૌરઊર્જાનું ઉત્પાદન થઇ શકે છે. તેમાંય બપોરના ૧૧.૩૦ વાગ્યાથી ૩.૩૦ વાગ્યા સુધીના ચાર કલાક દરમિયાન મહત્તમ સૌરઊર્જા મળે છે. મતબલ કે આ ચાર કલાક તેના પીકઅવર્સ છે. મે-૨૦૨૧થી જાન્યુઆરી-૨૦૨૨ સુધીમાં માસવાર ઉત્પાદિત સૌરઊર્જાના યુનિટ અનુક્રમે જોઇએ તો ગત મે માસમાં ૨૯૯૧૦, જુનમાં ૧૨૪૯૨૦, જુલાઇમાં ૧૦૯૬૮૦, ઓગસ્ટમાં ૮૨૦૨૦, સપ્ટેમ્બરમાં ૨૨૬૨૦, ઓક્ટોબરમાં ૧૨૨૧૭૫, નવેમ્બરમાં ૧૦૫૩૧૫, ડિસેમ્બરમાં ૮૮૯૫૦ અને જાન્યુઆરીમાં ૧૦૬૪૧૦ યુનિટ સૌરઊર્જાનું ઉત્પાદન થયું છે.

આ નવ માસમાં કુલ ૭૯૨૦૦૦ યુનિટ વીજ ઉત્પાદન થયું છે. ટ્રાન્સફોર્મરને શરૂ રાખવા માટે રાત્રે પણ વીજળીની જરૂર પડે છે. જે પ્રતિમાસ ૭૦૦થી ૯૦૦ યુનિટ વાપરે છે. એટલે તે બાદ કરતા નવ માસમાં કૂલ ૮૭૫૧૦૦ યુનિટ સૌરઊર્જા મળી છે. આ યુનિટને મધ્ય ગુજરાત વીજ કંપનીના ભાવ રૂ. ૬.૭ લેખે ગણવામાં આવે તો રૂ.૪૭,૩૩,૫૫૦નો સીધો ફાયદો નવ માસમાં થયો છે. ટ્રાન્સફોર્મર ચાલુ રાખવા માટે રાત્રિના વપરાયેલા યુનિટ સાથે ગણવામાં આવે તો કૂલ રૂ. ૫૦ લાખથી પણ વધુની વીજળીનું ઉત્પાદન થયું છે.

મધ્ય ગુજરાત વીજ કંપની આ સૌરઊર્જા લઇ વડોદરા મહાનગરપાલિકાને ત્રણ સ્થળે એચટી વીજળી મજરે આપે છે. તેમાં કૂલ ઉત્પાદિત સૌરઊર્જાના ૧૨.૧૮ ટકા ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગને, ૫૪.૯૫ ટકા રાજીવનગર સુએજ પ્લાન્ટ અને ૩૨.૮૭ ટકા અટલાદરા સુએઝ પ્લાન્ટ વીજળી આપવામાં આવે છે. આ ત્રણેય સ્થળને આ નવ માસ દરમિયાન સુધીમાં આપવામાં આવેલી સૌર ઊર્જાના કૂલ યુનિટ અનુક્રમે જોઇએ તો ૮૬૦૬૩, ૩૮૮૨૭૧ અને ૨૩૨૨૫૬ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝીરો કાર્બન ઉત્સર્જન અને સ્વચ્છ વીજળીની સંકલ્પનાને સાકાર કરતા અકોટા-દાંડિયા બજાર બ્રિજ રૂફટોપ સોલર પાવર પ્રોજેક્ટમાં ‘આમ કે આમ ઔર ગુટલી ઓ કે ભી દામ’ કહેવત જેવો આ ફાયદો છે.