વરસાદી પાણીની આડમાં અંકલેશ્વરના પિરામણ નજીક આમલાખાડીમાં છોડાઇ રહ્યું છે દુષિત પાણી?

ભરૂચઃ એક તરફ વિસ્તારમાં વરસાદને કારણે લોકોની સ્થિતિ દયનીય જોવા મળી રહી છે, ત્યારે વરસાદી પાણીની આડમાં દુષિત પાણી છોડાઇ રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની વરસાદી ગટરોમાં પ્રદૂષિત પાણી છોડાઇ રહ્યાંનું જણાઇ રહ્યું છે. ત્યારે રવિવારે વરસાદી પાણીની આડાશમાં કેટલાંક ઔદ્યોગિક એકમો દ્વારા પ્રદૂષિત પાણી વરસાદી ગટરોમાં છોડાઇ રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

અંકલેશ્વરના પિરામણ નજીક એફપીએસ એટલે કે ફાઇનલ પમ્પિંગ સ્ટેશન પાસે પીળા રંગના દુષિત પાણી ઓવરફ્લો થઇને આમલા ખાડીમાં વહી રહ્યાં હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. વરસાદી ગટરોમાંથી આવી રહેલા આ પીળા રંગના દૂષિત પાણીને રોકવા માટે બનાવેલા ફાઇનલ પંમ્પિંગ સ્ટેશનનો મેન વાલ ખોલી દેવામાં આવ્યો છે, જેના લીધે આમલાખાડીમાં સફેદ દૂષિત ફીણની ચાદર પથરાઇ ગઇ તેમ દર્શાઇ રહ્યું હતુ. આમલા ખાડીમાં વહી રહેલુ આ દૂષિત પાણી 2થી 3 પીએચનું હોવાની જાણકારી મળી રહી છે. ત્યારે આ દ્રશ્યો અદાલતની ગાઇડલાઇનના લીરેલીરા ઉડાડી રહ્યાં હોવાનું પ્રાથમિક સ્તરે જણાઇ રહ્યું છે.

આ રીતે પ્રદૂષણને નુક્શાન પહોંચાડનારા એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ જોવા મળી રહી છે, ત્યારે જીપીસીબી દ્વારા ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું.