૧૯૫ કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું મોચા રવિવારે બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકાંઠે ત્રાટક્યું

કેટેગરી પાંચનું ગંભીર ચક્રવાતી વાવાઝોડું મોચા રવિવારે બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકાંઠે ત્રાટક્યું હતું, જેમાં ભારે વરસાદ અને ૧૯૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ઢાકા ટ્રિબ્યુન અનુસાર, બાંગ્લાદેશ હવામાન વિભાગના નિર્દેશક મોહમ્મદ અઝીઝુર રહેમાને કહ્યું છે કે ચક્રવાત રવિવાર સાંજ સુધીમાં નબળો પડી ગયો છે. સોશિયલ મીડિયા પર ફરતા કેટલાક વીડિયો ફૂટેજમાં ઈમારતો પરથી છત અને વીજ લાઈનો પડી રહી છે. સ્થાનિક ન્યૂઝ ઓર્ગેનાઈઝેશન ધ ઈરાવાડીના જણાવ્યા અનુસાર મ્યાનમારમાં ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે અને એક ટેલિકોમ ટાવર પણ ધરાશાયી થઈ ગયો છે. ચક્રવાતથી ભારે પવન અને વરસાદ પણ…. ચક્રવાતે પશ્ચિમી મ્યાનમારને લગભગ સંપૂર્ણપણે ઘેરી લીધું છે, પરંતુ હવે તે ઝડપથી નબળું પડી રહ્યું છે. જો કે તે હજુ પણ દેશમાં ભારે પવન અને ભારે વરસાદ લાવી રહ્યો છે. સ્થાનિક સમય અનુસાર સોમવારની રાતથી મંગળવારની સવાર સુધી મોચા ઉત્તર મ્યાનમારમાં ફેલાવાની ધારણા છે.

સરકારે રવિવાર માટે ભારે વરસાદની આગાહી સાથે જોડાયેલી સત્તાવાર ભૂસ્ખલન ચેતવણી પણ જારી કરી હતી. ચક્રવાતને કારણે બે ફ્લોટિંગ એલએનજી ટર્મિનલમાંથી ગેસનો પુરવઠો સ્થગિત કરવામાં આવ્યો હતો. સત્તાવાળાઓએ મોચાને કારણે તમામ શૈક્ષણિક બોર્ડ હેઠળ સોમવારની માધ્યમિક શાળા પ્રમાણપત્ર અથવા SSC પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે. અવામી લીગના જનરલ સેક્રેટરી ઓબેદુલ કાદરે કહ્યું કે, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના પોતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને ચક્રવાતને પહોંચી વળવા સૂચના આપી રહ્યા છે. મ્યાનમારના સિત્તવે વિસ્તારમાં વીજળી અને વાઈ-ફાઈ કનેક્શન ખોરવાઈ ગયા હતા. બીબીસીના અહેવાલ મુજબ, સિત્તવેમાં બચાવ ટુકડીઓએ કહ્યું કે તેઓને પૂરમાં ફસાયેલા લોકો તરફથી તકલીફના કોલ મળી રહ્યા છે.