એરથાણ ગામમાં મકાન ધરાશાયીઃ બે વર્ષની બાળકીનું મોત, ચાર ઘાયલ

સુરતમાં ઓલપાલ તાલુકાના એરથાણ ગામમાં બુધવારે રાત્રે એક મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. દીવાલ ધરાશાયી થતાં બાજુનાં અન્ય બે આવાસ પણ તૂટી પડ્યાં હતાં. આ ઘટનામાં એક જ પરિવારના ૬ લોકો મકાનના કાટમાળ નીચે દટાયા હતા અને એક બાળકીનું મોત નીપજ્યું હતું. ચાર ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

પ્રાપ્ત વિગતો પ્રમાણે, ઓલપાડ તાલુકાના એરથાણ ગામમાં બુધવારે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ હળપતિવાસમાં એક મકાન ધરાશાયી થયું હતું. આ મકાનના કાટમાળમાં એક જ પરિવારના ૬ સભ્ય દટાયા હતા. મકાન ધરાશાયી થવાની ઘટના બનતાં જ ગામના લોકો દોડી આવ્યા હતા અને કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાની જહેમત ઉઠાવી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી દેવામાં આવી હતી. ૧૦૮ પહોંચે એ પહેલાં જ લોકોએ ત્રણેક જણને કાટમાળમાંથી બહાર કાઢીને સાયણની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા ત્યાં સારવાર દરમિયાન બે વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું.

ગામના લોકોએ ૧૦૮ સહિત ફાયર વિભાગને પણ જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ પણ જાણ થતાંની સાથે જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢીને બચાવી લીધા હતા. આ ઘટનામાં પરિવારના પરેશભાઈ રાઠોડ, સુનિતાબેન રાઠોડ, પવન, પાયલ, ગણપતભાઈ અને કમુબેનને ઇજા થઈ હતી, જેમાંથી પરેશભાઈ, સુનીતા અને પવનને હોસ્પિટલ ખસેડાયાં હતાં.

ગામવાસીઓએ જણાવ્યું હતું કે ઘટના બાદ તુષારભાઈ નામના ગામના એક યુવકે પવન નામના આશરે ત્રણેક વર્ષના બાળકને સમયસૂચકતા વાપરી બચાવી લીધો હતો. બાળકને બહાર કાઢતાં શરૂઆતમાં તેના ધબકારા ધીમે ચાલતા હતા. તેને બચાવવા તાત્કાલિક સારવાર આપવી જરૂરી હતી. બાળકને મોંથી શ્વાસ આપી પોતાની કારમાં સ્મિમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. તેનો જીવ જે-તે સમયે બચી જતાં સ્મિમેરમાં દાખલ કરાયો હતો.