કેન્દ્રીય બજેટ 2023-24ને GCCIએ બિરદાવતા જણાવ્યું, કેન્દ્રીય બજેટ દૂરદર્શી અને સંતુલિત બજેટ છે

ગુજરાત / અમદાવાદઃ આજે, 1લી ફેબ્રુઆરી, 2023ના રોજ માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટ 2023-24ની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્રીય બજેટ અંગેના પ્રતિભાવમાં, GCCI પ્રમુખ શ્રી પથિક પટવારી અને GCCIના હોદેદારોની ટીમે  જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટ  દૂરદર્શી  અને સંતુલિત બજેટ છે, જેમાં વર્તમાન જરૂરિયાતોની સાથોસાથ લાંબા ગાળાની વૃદ્ધિ પર સારી રીતે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે “અમૃતકલ માટે સપ્તર્ષિ ” ના વિચારને બિરદાવતા જણાવ્યું હતું કે  આ બજેટમાં ગ્રીન ગ્રોથ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, રિસર્ચ અને ડેવલપમેન્ટને પ્રોત્સાહન, સ્ટાર્ટ-અપ્સ અને MSME ને પ્રોત્સાહિત કરવા, કૃષિ વૃદ્ધિ સુનિશ્ચિત કરવા,ખેડૂતોનું કલ્યાણ તેમજ પગારદાર મધ્યમ વર્ગને રાહત પૂરી પાડવા  જેવા અનેક નિર્ણાયક પાસાઓ પર યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે બજેટ સમૃદ્ધ અને સર્વસમાવેશક ભારત તરફનો માર્ગ મોકળો કરશે તેવી અપેક્ષા છે, કારણ કે તમામ મુખ્ય વિભાગોને બજેટમાં સમાવવામાં આવ્યા છે અને તેમને  અમુક પ્રકારની રાહત અથવા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

 

 

કેન્દ્રીય નાણાં પ્રધાન દ્વારા જાહેર કરાયેલ કેન્દ્રીય બજેટ 2023-24ને GCCI એ બિરદાવ્યું

તેમના પ્રતિભાવમાં, GCCI પ્રમુખ અને હોદેદારોની ટીમે ખાસ કરીને કેન્દ્રીય બજેટમાં હાથ ધરવામાં આવેલ નીચે મુજબના મુખ્ય સકારાત્મક જાહેરાતો પર પ્રકાશ પાડયો  હતો.

  1. ભારતનો જીડીપી વૃદ્ધિદર તમામ વિકસિત અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધુ છે અને ભારતનું અર્થતંત્ર વિશ્વમાં દસમા સ્થાનેથી પાંચમા સ્થાને આવી ગયું છે, જે એક પ્રશંસનીય હકીકત છે અને હાથ ધરવામાં આવેલી પહેલોની સફળતા દર્શાવે છે.
  2. કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા અપનાવવામાં આવેલા સાત મુખ્ય અગ્રતા ક્ષેત્રો, સમાવેશી વૃદ્ધિ, વંચિતોને પ્રાધાન્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ, ક્ષમતા વિસ્તરણ, હરિયાળી વૃદ્ધિ, યુવા શક્તિ, અને નાણાકીય ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને ભવિષ્ય માટે મજબૂત પાયો બનાવશે અને નાણાકીય સ્થિરતા પણ જાળવી રાખશે.
  3. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પરના એકંદર મૂડી ખર્ચમાં 33 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જે આપણા જીડીપીના 3.3% હશે. આ એક આવકારદાયક પગલું છે કારણ કે આ આપણા દેશને USD 5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા અને વૈશ્વિક આર્થિક પાવરહાઉસ બનવાના લક્ષ્યને હાંસલ કરવા માટે બહુ મદદરૂપ રહેશે .
  4. સરકારે કોવિડ સમયગાળા દરમિયાન કોન્ટ્રાક્ટ પૂરા ન કરવાને કારણે જપ્ત થયેલી રકમમાંથી 95% પરત કરીને MSMEsને રાહત આપવા માટે વિવાદ સે વિશ્વાસ-2 હેઠળ વિવાદ નિવારણ યોજનાની જાહેરાત કરી. કોવિડ દરમિયાન કાચા માલના ભાવમાં વધઘટને કારણે થયેલ નુકશાનનો સામનો કરવો પડ્યો છે તેવા MSMEs ને રાહત આપવા એક આવકારદાયક પગલું છે.
  5. યુવા વ્યાવસાયિકો દ્વારા કૃષિ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે એગ્રીકલ્ચર એક્સેલરેટર ફંડ રજૂ કરવામાં આવશે. આ પહેલ ખેડૂતોને આધુનિક ટેકનોલોજી પ્રદાન કરવામાં મદદ કરશે અને કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદકતા અને નફાકારકતામાં વધારો કરશે.
  1. ખાસ કરીને ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રમાં વિવિધ પહેલો દ્વારા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે સેન્ટર ઓફ એક્સલન્સ બનાવવામાં આવશે અને તબીબી ઉપકરણોના ઉત્પાદન માટે વિવિધ  અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે જે આત્મનિર્ભર ભારત પહેલને પ્રોત્સાહન આપશે.
  2. પ્રવાસનના વિકાસ માટેના પગલાં લેવામાં આવ્યા છે જેનાથી રાજ્યોની અને જાહેર-ખાનગી ક્ષેત્રોની સક્રિય ભાગીદારી વધશે અને પ્રવાસન ક્ષેત્રમાં રોકાણ કરવાની નવી તકો ખુલશે.
  3. લેબ ગ્રોન ડાયમંડ્સ માટે R& D ગ્રાન્ટ જાહેર કરવામાં આવી છે જેનાથી ગુજરાતમાં જેમ્સ એન્ડ જ્વેલરી બિઝનેસને વધુ પ્રોત્સાહન મળશે
  4. વર્ષ 2013-14 ની સરખામણીમાં રેલ્વે માટે મૂડી ખર્ચમાં લગભગ 9 ગણો વધારો કરવામાં આવ્યો છે અને રેલ્વેમાં ખાનગી ભાગીદારીને પ્રોત્સાહિત કરવામાં આવી છે, જેનાથી રેલ્વેમાં રોકાણ કરવાની નવી તકો ખોલશે અને રેલ્વે દ્વારા સસ્તું અને ઝડપી લોજિસ્ટિક્સ સપોર્ટ પ્રદાન કરવામાં સક્રિય યોગદાન આપી શકાશે.
  5. કાયદાના અનુસરણમાં ઘટાડો અને સિંગલ-વિન્ડો IT સિસ્ટમની અમલીકરણને કારણે ગિફ્ટ સિટીના વિકાસને વધુ વેગ મળશે.
  6. MSMEs માટે ક્રેડિટ ગેરંટી સ્કીમમાં સુધારો કરવામાં આવ્યો છે જે MSME ને ઓછા ખર્ચે વધારાના નાણાં મેળવવામાં મદદ કરશે. કોર્પસમાં રૂ. 9,000 કરોડના વધારાના રોકાણ સાથેની નવી યોજના 1 એપ્રિલ, 2023થી અમલમાં આવશે.
  7. મૂળભૂત કસ્ટમ ડ્યુટી 21% થી ઘટાડીને 13% કરવાથી અમુક આવશ્યક ઈનપુટ્સ અને કાચા માલની આયાત સસ્તી થશે. મોબાઇલ ફોનના પાર્ટ, લિથિયમ- આયન બેટરી અને કેમેરા લેન્સ વગેરે જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ માટે ઇનપુટ્સ અને કાચામાલ વગેરેનાં આયાત આ વસ્તુઓના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપશે અને ભારતને આક્રમક રીતે વિશ્વના ઇલેક્ટ્રોનિક્સ પાવરહાઉસ તરીકે અને ચીનના વિકલ્પ તરીકે સ્થાન આપવામાં મદદ કરશે. .
  8. મહિલા સન્માન બચત પત્ર યોજના હેઠળ માર્ચ 2025 સુધીના બે વર્ષના સમયગાળા માટે ₹ 2 લાખ સુધીની થાપણની ઉપર 7.5% વ્યાજ દર આંશિક ઉપાડ વિકલ્પ આપવામાં આવશે જે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપશે.
  9. સહકારી ક્ષેત્ર માટે અનેક આવશ્યક યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. નવી સહકારી મંડળીઓ માટે નીચા કરદર સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન આપશે વધુમાં, ગોવર્ધન યોજના હેઠળ 500 નવી વેસ્ટ ટુ વેલ્થ યોજનાઓ જાહેર કરવામાં આવી છે જે ગ્રામીણ ઉદ્યોગ સાહસિકોને મદદ કરશે.

GCCI પદાધિકારીઓએ ઉમેર્યું હતું કે આ લાંબા ગાળાની વૃદ્ધિ પર કેન્દ્રિત સંતુલિત બજેટ છે અને આ બજેટ દ્વારા કેન્દ્ર સરકારે વિકાસને વેગ આપવા માટે મૂડી ખર્ચમાં વધારો કરીને તેનો ઇરાદો સ્પષ્ટ કર્યો છે.  સાથો સાથ ,સરકારે નીતિ માળખાના સંદર્ભમાં સાતત્ય જાળવી રાખ્યું છે અને કરવેરાના ક્ષેત્ર સહિત અન્ય ક્ષેત્રોમાં  સરળીકરણની પ્રક્રિયા ચાલુ રાખી છે.