૨૦૧૮માં જાહેર થયેલી વનરક્ષકની પરીક્ષા ટુંક સમયમાં યોજાશે

રાજ્યના વન વિભાગમાં વન રક્ષક વર્ગ-૩ની ૩૩૪ જગ્યા માટે વર્ષ ૨૦૧૮માં બહાર પડેલી ભરતી પ્રક્રિયા કોઈ ને કોઈ કારણોસર અટવાયા બાદ હવે ચાર વર્ષ પછી આખરે આ પ્રક્રિયા આગળ ધપાવવાની જાહેરાત સરકારે કરી છે, જેનાથી ૪.૯૫ લાખ ઉમેદવારોને ફોર્મ ભર્યાના ચાર વર્ષે પરીક્ષા આપવાની તક મળશે. વન મંત્રી કિરીટસિંહ રાણાએ કહ્યું કે, ટૂંક સમયમાં આ ભરતી માટેની પરીક્ષા લેવામાં આવશે. વર્ષ ૨૦૧૮માં જાહેર થયેલી અને અનિવાર્ય કારણોસર મોકૂફ રહેલી ભરતી હોવાથી તેમાં નવા ઉમેદવારો અરજી કરી શકશે નહીં, તે વખતે અરજી કરનારા ઉમેદવારો જ પરીક્ષામાં બેસી શકશે.

જાહેરાત બહાર પડી ત્યારે એસસી, એસટી, ઓબીસી એમ ત્રણ અનામત કેટેગરી જ અમલમાં હોવાથી તે વખતે જનરલ કેટેગરીમાં ફોર્મ ભરનારા ઉમેદવારો જો ૧૦ ટકા આર્થિક નબળા વર્ગ કેટેગરીનો લાભ લેવા માગતા હોય તો ઓજસ વેબસાઇટ પરથી ૧૦ દિવસમાં અરજી કરી શકશે. તે વખતે અરજી કરનાર ઉમેદવારોની હાલની વયને ધ્યાને લીધા વિના માન્ય ગણવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તરત જ વનરક્ષકની વધુ ૭૭૫ જગ્યાઓની ભરતી માટેની જાહેરાત બહાર પડાશે.