સાબરકાંઠાના હિંમતનગર નજીક કાંકણોલ ગામમાં આગ લાગતા ઘઉંના પાકને થયું નુકસાન

જિલ્લાના હિંમતનગરના કાકરોલ પાસે અચાનક વીજ કંપનીની બેદરકારીના પગલે વીજ તણખા પડતા ઘઉંના ઉભા પાકનો આગ લાગી હતી. ખેડૂતનો ઘઉંનો પાક બળીને ખાક થઈ ચૂક્યો હતો. છેલ્લા કેટલાક સમયથી એનજીવીસીએલમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ મામલે વીજતંત્ર ગંભીરતા ન દાખવતા દર વર્ષે ઘણા ખેડૂતો આવી બનતી ઘટનાઓથી ત્રસ્ત થઇ ચૂક્યા છે. ઘઉંના પાકમાં ઘણી વખત આગના તણખાં પડતાં પાકમાં આગ લાગવાના બનાવો બનતા હોય છે.

હિંમતનગરના કાંકણોલમાં છેલ્લા કેટલાક સમયથી રજૂઆત કરવામાં આવી હોવા છતાં વીજતંત્ર દ્વારા આ અંગે ચોક્કસ કામગીરી ન કરાતાં સોમવારે ફરી એક વખત ઘઉંના પાકમાં આગ લાગી હતી અને આગના કારણે ઘઉંના પાકને નુકસાન થયું હતું. સ્થાનિક ખેડૂતોએ ઘઉંના પાકમાં પાણીનો મારો ચલાવી મહામહેનતે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

છેલ્લા કેટલાક સમયથી આ ઘટના મામલે ખેડૂતો વારંવાર હેરાન-પરેશાન થઈ રહ્યા છે, તેમજ આ મામલે ઘણી વખત વીજ કંપનીઓને લેખિત અને મૌખિક રજુઆતો કરવામાં આવી છે. જોકે આજદિન સુધી વીજ કંપનીની બેદરકારીના પગલે આગ લાગવાથી થયેલા લાખો રૂપિયાનું નુકસાન સામે વીજ કંપનીઓ મૌન સેવી રહી છે. સોમવારે વીજ કંપનીની બેદરકારીના પગલે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. જોકે દર વર્ષે લાખો રૂપિયાનું નુકસાન થવા છતાં આગામી સમયમાં વીજ કંપનીઓ ખેડૂતોના મામલે કેટલી સંવેદનશીલ બને છે તે પણ મહત્વનું બની રહેશે.