હવે કોવિશિલ્ડ અને કોવેક્સિન રસી બજારમાં વેચાણથી ઉપલબ્ધ થશે

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર (સરકારી અને નિયમનકારી બાબતો) પ્રકાશ કુમાર સિંઘ ૨૫ ઓક્ટોબરે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલને એક અરજી જમા કરાવી હતી. જેમાં કોવિશિલ્ડ રસીને બજારમાં ઉતારવાની મંજૂરી માંગી હતી. થોડા અઠવાડિયા પહેલા ભારત બાયોટેકના પૂર્ણકાલિક નિર્દેશક વી ક્રિષ્ના મોહને રસી માટે નિયમિત મંજૂરી મેળવવા ક્લિનિકલ ડેટા સાથે-સાથે રસાયણશાસ્ત્ર, ઉત્પાદન અને નિયંત્રણની સંપૂર્ણ વિગતો સબમિટ કરી હતી. Covaccine અને Covishield ને ગયા વર્ષે ૩ જાન્યુઆરીના રોજ ઇમરજન્સી યુઝ એપ્રુવલ આપવામાં આવી હતી. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ એન્ટિ-કોવિડ-૧૯ રસીઓ કોવિશિલ્ડ અને કોવેક્સિન ના નિયમિત બજારમાં વેચાણની મંજૂરી આપી છે. સત્તાવાર સૂત્રએ તેની જાણકારી આપી છે.

બુધવારે સૂત્રોએ જણાવ્યું હતું કે બંને રસીની કિંમત પ્રતિ ડોઝ ૨૭૫ રૂપિયા અને ૧૫૦ રૂપિયાનો વધારાનો સર્વિસ ચાર્જ નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીને રસીઓ પરવડી શકે તે માટે કિંમતોને મર્યાદિત કરવા માટે કામ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. અત્યાર સુધી, કોવેક્સીનની કિંમત પ્રતિ ડોઝ ૧,૨૦૦ રૂપિયા છે, જ્યારે ખાનગી હોસ્પિટલોમાં કોવિશિલ્ડના એક ડોઝની કિંમત ૭૮૦ રૂપિયા છે. કિંમતોમાં રૂ.૧૫૦નો સર્વિસ ચાર્જ પણ સામેલ છે. હાલમાં, બંને રસીઓ માત્ર દેશમાં જ કટોકટીના ઉપયોગ માટે અધિકૃત છે. થોડા દિવસો અગાઉ ૧૯ જાન્યુઆરીએ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનની કોવિડ-૧૯ પર વિષય નિષ્ણાત સમિતિએ અમુક શરતોને આધીન, પુખ્ત વસ્તીમાં ઉપયોગ માટે એન્ટી-કોવિડ રસીઓ કોવિશિલ્ડ અને કોવેક્સિનના નિયમિત લોન્ચિંગને મંજૂરી આપી હતી.