તમિલનાડુ: ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, નવ લોકોના મોત

વિરુધુનગર, 17 ફેબ્રુઆરી (UNI) તામિલનાડુના વિરુધુનગર જિલ્લાના મુથુસમ્યાપુરમ ગામમાં શનિવારે ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતાં પાંચ મહિલાઓ સહિત નવ લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.

પોલીસે જણાવ્યું હતું કે શનિવારે બપોરે વિનર ફટાકડાના કારખાનામાં અચાનક આગ ફાટી નીકળી હતી. તે દરમિયાન કામદારો ફટાકડા બનાવવામાં વ્યસ્ત હતા. થોડી જ વારમાં આગ ઝડપથી વધી અને ચાર વેરહાઉસોને લપેટમાં લીધા, જ્યાં તૈયાર ફટાકડા અને અત્યંત જ્વલનશીલ રસાયણોનો વિશાળ જથ્થો રાખવામાં આવ્યો હતો. રાસાયણિક પદાર્થના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ અકસ્માતમાં નવ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

ઘટનાની માહિતી મળતાં જ સત્તુર, વેમ્બાકોટ્ટઈ અને શિવકાશીથી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.ઘણી જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.ઘાયલોને સત્તુર અને શિવકાશીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેટલાક કામદારોની હાલત નાજુક હોવાને કારણે મૃત્યુઆંક વધી શકે છે.

વરિષ્ઠ પોલીસ અને મહેસૂલ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું. આ બનાવ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.