સુઈગામઃ લોકો જેને દારૂ સમજીને લઈ ગયા હતા હકીકતમાં તે ખતરનાક કેમિકલ નીકળ્યું

બનાસકાંઠા: ગુજરાતના સરહદે આવેલ બનાસકાંઠાના સુઈગામમાં અજીબ કિસ્સો બન્યો હતો. લોકો જેને દારૂ સમજીને લઈ ગયા, હકીકતમાં તે ખતરનાક કેમિકલ નીકળ્યુ. ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા કેમિકલ ન લઈ જવા અને તેનો વપરાશ ન કરવા માટે અપીલ કરવામાં આવી.

બન્યું એમ હતું કે, શુક્રવાર સાંજે સુઈગામ- ઝઝામ રોડ પર કેમિકલ ભરેલું ટેન્કર પલટાયું હતું. ટેન્કર પલટી માર્યા બાદ જવલનશીલ કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ લાગી હતી. ટેન્કરમાં આગ લાગતા સુઈગામ ઝઝામ હાઇવેને બંને તરફથી વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો. ટેન્કરમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર ફાઇટરે ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાનું શરૂ કર્યુ હતું. ગુજરાતના ગાંધીધામથી ટેન્કર પંજાબના લુધિયાના જતું હતું. ખરાબ રસ્તાના કારણે ટેન્કર પલટયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે, ટેન્કરમાં આગ લાગ્યા બાદ સદનસીબે જાનહાની ટળી હતી. પરંતુ ટેન્કરમાં આગ લાગતા પહેલા એક મોટી ઘટના ધટી હતી.

ટેન્કર પલ્ટી મારતાં તેમાં રહેલુ મિથેલોન પ્રવાહી જમીન પર ઢોળાયું હતું. જેથી આજુબાજુનાં લોકો ત્યાં દોડી આવ્યા હતા. સ્થાનિકોએ આ કેમિકલ ઉપયોગી છે તેવું સમજીને પોતાના વાસણોમાં ભરીને મિથેલોન પોતાના ઘરે લઈ ગયા હતા. પરંતું ટેન્કર પાસે બાકી રહેલા કેમિકલમાં આગ ફાટી નીકળી હતી. જેથી પોલીસ એક્શનમાં આવી હતી. ઝેરી કેમિકલ ઘરે લઈ જવાની બાબતે પોલીસે લોકોને લાગણીસભર અપીલ કરી હતી. સુઈગામની પોલીસે કેમિકલ વાપરવું નહિ અને તેનાથી બાળકો તેમજ અન્ય લોકોને દૂર રહેવા અપીલ કરી હતી. કેમિકલ લોહીમાં જાય તો મિનિટોમાં માણસનું મૃત્યુ થવાની સંભાવના પોલીસે માહિતી ગામલોકો સુધી પહોંચાડી હતી. લોકોનાં શ્વાસમાં આ કેમિકલ જાય તો પણ મૃત્યુ થવાની સંભાવના પોલીસે વ્યક્ત કરી લોકોને કેમિકલનો નાશ કરવા અથવા પોલીસને પરત કરવા અપીલ કરી હતી. ઝેરી કેમિકલ કોઈને કામ આવી શકે તેમ નથી તેથી આ કેમિકલ પોલીસને પરત કરવું પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે નહિ તેવી પણ પોલીસે અપીલ કરી. માનવજાત માટે ખતરનાક કેમિકલ હોવાથી પોલીસની ટીમો દ્વારા ગામડાઓમાં સર્ચ પણ કરવામાં આવશે. આમ, થરાદ ડીવાયએસપી, દિયોદર ડીવાયએસપી, પીએસઆઈ સહિત ૧૦૦થી વધુ પોલીસ ઘટના સ્થળે પહોંચી લોકોને કેમિકલથી દુર રાખવા માટેની કામગીરી હાથ ધરી હતી. ગામડાઓમાં પોલીસ આવે તો જે લોકો કેમિકલ લઇ ગયા છે તેમણે પોલીસને કેમિકલ આપી દેવા વિનંતી કરાઈ હતી.