રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર બહાદુરોને શ્રદ્ધાંજલી આપવાની સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઇ

કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસ ઉજવણી થઇ, સમગ્ર દુનિયા કર્તવ્ય પથ પરથી ભારતની તાકાત જોઈ

દિલ્હીઃ ૭૫મા પ્રજાસત્તાક દિવસ ૨૦૨૪ સમારોહની શરૂઆત વડાપ્રધાન મોદી દ્વારા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર બહાદુરોને શ્રદ્ધાંજલી આપવાની સાથે થઈ. આ અવસરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સંરક્ષણ સેવાઓના વડાઓ પણ હાજર હતા. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ શુક્રવારે ૭૫મા પ્રજાસત્તાક દિવસના સમારોહમાં જવા માટે બગીનો વિકલ્પ પસંદ કર્યો અને તેની સાથે ૨૫૦ વર્ષ જુની પરંપરાને પુનઃજીવિત કરી.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોં આ બગીમાં સવાર થઈને કર્તવ્ય પથ પહોંચ્યા. ૭૫માં પ્રજાસત્તાક દિવસના અવસર પર કર્તવ્ય પથ પર આયોજિત સમારોહમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોં મુખ્ય મહેમાન તરીકે શોભા વધારી રહ્યા હતા. તેની વચ્ચે પ્રજાસત્તાક દિવસ પરેડમાં ભાગ લેવા માટે ફ્રેન્ચ માર્ચિંગ ટુકડી અને બેન્ડ ટુકડી પણ ભારત આવી. તેમાં ૬ ભારતીય પણ સામેલ હતા.

દેશના ૭૫માં પ્રજાસત્તાક દિવસ પર દુનિયાના ઘણા દેશના પ્રતિનિધિઓએ ભારતને શુભેચ્છાઓ આપી. તેની વચ્ચે જાપાનમાં ભારતીય દૂતાવાસે ગણતંત્ર દિવસની ઉજવણી કરી. આ સાથે જ ૩ સુખોઈ ૩૦ Mk-I અને ૬ રાફેલ વિમાન ઉડ્યા. કર્તવ્ય પથ પર અગ્નિવીરો સહિત તમામ મહિલા ત્રિ-સેવા ટુકડીની તાકાત જોવા મળી. ૭૫મો પ્રજાસત્તાક દિવસ ‘નારી શક્તિ’ અને ‘વિકસિત ભારત’ની થીમ પર કેન્દ્રીત છે. ૨૦મી બટાલિયનના લેફ્ટનન્ટ સંયમ ચૌધરીના નેતૃત્વમાં રાજપૂતાના રાઈફલ્સે પ્રજાસત્તાક દિવસ પરેડમાં ‘રાજા રામ ચંદ્ર કી જય’ના યુદ્ધઘોષ સાથે કર્તવ્ય પથ પર માર્ચ નીકાળી હતી.