તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત અમરેલીના ૬૯૮ ગામોમાં વીજપુરવઠો ફરીથી શરૂ કરી દેવાતા સ્થાનિકોમાં રાહત

તાઉતે વાવાઝોડાના પગલે રાજ્યમાં સૌથી વધુ પ્રભાવિત અમરેલી જિલ્લો થયો હતો. રાજ્યભરમાં તાઉતે વાવાઝોડાથી અમરેલી જિલ્લાને સૌથી વધુ નુકશાન થયુ હતુ. વાવાઝોડા દરમિયાન અમરેલીના ૬૯૯ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. છેલ્લા ઘણા સમયથી સ્થાનિકોને મુશ્કેલી પડી રહી હતી. રીપેરીંગ કામ કરી દેવાતા હવે વીજપુરવઠો ફરીથી શરૂ કરી દેવાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો.

અમરેલી જિલ્લામાં તાઉતે વાવાઝોડા દરમિયાન ૧.૬૫ લાખથી વધુ વીજળીના થાંભલા ધરાશાયી થઈ ગયા હતા જેના કારણે કુલ ૬૯૯ ગામોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો અને અંધારપટ છવાઈ ગયો હતો. વીજ પુરવઠાને જોડતા કુલ ૬૨૧ ફીડરોમાં મોટાપાયે નુકશાન થયુ હતુ. પીજીવીસીએલની ટીમોએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. હાલમાં ૬૨૧માંથી ૪૬૫ ફિડરોમાં વીજ પુરવઠો ફરીથી શરૂ કરી દેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ૬૩,૯૭૯ વીજ થાંભલાઓ ઉભા કરીને ગામડાઓમાં વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો છે. ઉર્જા મંત્રી સૌરભ પટેલ સતત વીજળી વિભાગની કામગીરીનુ નિરીક્ષણ કર્યુ હતુ અને સ્થળની મુલાકાત લઈને કર્મચારીઓને માર્ગદર્શન આપ્યુ હતુ.

અમરેલી જિલ્લામાં વીજ પુરવઠો ખોરવાતા લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી હતી. વીજળીના અભાવે ગામોમાં પાણી પુરવઠો પણ પૂરો પાડી શકાતો નથી. પશુપાલન કરતા લોકોને રેફ્રિજરેટર બંધ હોવાના કારણે દૂધ સાચવવામાં પણ મુશ્કેલી થઈ રહી હતી. છેલ્લા ઘણા દિવસોથી લોકોને પાણી પૂરુ પાડવા માટે ટેન્કરો મંગાવવામાં આવતા હતા. રાજુલા તાલુકાના હિંડોરણા ગામમાં તો લોકો ધતારવાડી નદીના બેટમાં ખાડા કરીને તેમાંથી પાણી લાવતા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ૩ દશકમાં તેમણે આટલો લાંબો પાવર કટ ક્યારેય જોયો નહોતો.