રાજ્યમાં ૯૨ ટકા ખરીફ પાકનું વાવેતરઃ મગફળીનું ૧૯ લાખ હેક્ટરમાં વાવેતર પૂર્ણ

ગુજરાતમાં ચોમાસાની સીઝનમાં હજુ જરૂર પ્રમાણે વરસાદ પડ્યો નથી. આ વર્ષે રાજ્યભરમાં હજુ વરસાદની ઘટ છે. ખેડૂતો વાવણી કર્યા બાદ હવે વરસાદની રાહ જોઈ રહ્યાં છે. જો વરસાદ સમયસર નહીં આવે તો ખેડૂતોએ મોટા નુકસાનનો સામનો કરવો પડી શકે છે. હવે રાજ્ય સરકાર દ્વારા ખરીફ વાવેતરનો ડેટા જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર પ્રમાણે રાજ્યભરમાં ઓછો વરસાદ છતાં કરીફ વાવેતર પૂર્ણતાના આરે છે.

રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે અત્યાર સુધી રાજ્યમાં ૯૨ ટકા ખરીફ પાકનું વાવેતર થઈ ગયું છે. રાજ્યમાં ચોમાસાની સીઝનમાં મગફળી, કપાસ, સોયાબીન, તુવેર, ડાંગર સહિત અનેક પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આ વર્ષે મગફળીનું વાવેતર ૧૯ લાખ હેક્ટરમાં થયું છે.

કપાસનું વાવેતર ૨૨.૪૮ લાખ હેક્ટરમાં થયું છે. એટલે કે અત્યાર સુધી કપાસનું વાવેતર ૮૮ ટકા થયું છે. તો રાજ્યમાં ૨.૨૩ લાખ હેક્ટરમાં સોયાબીનનું વાવેતર થયું છે. ટકાવારી પ્રમાણે જોઈએ તો રાજ્યમાં ૧૭૩ ટકા સોયાબીનનું વાવેતર થયું છે. આ સિવાય તુવેરનું ૨.૨૩ લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. ટકાવારી પ્રમાણે રાજ્યમાં ૯૬ ટકા તુવેરનું વાવેતર થયું છે. રાજ્યમાં ૭.૮૯ લાખ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે. એટલે કે અત્યાર સુધી ૯૪ ટકા ડાંગરનું વાવેતર થયું છે. આ સિવાય લીલા શાકભાજીનું વાવેતર ૨.૩૫ લાખ હેક્ટરમાં થયું છે.

આ સિવાય વાત કરવામાં આવે તો રાજ્યમાં ૧.૭૧ લાખ હેક્ટરમાં બાજરાનું વાવેતર થયું છે. તો ૩૬ હજાર હેક્ટરમાં જુવારનું વાવેતર કરવામાં આવ્યું છે. ૧૫ હજારથી વધુ હેક્ટરમાં અન્ય અનાજનું વાવેતર રાજ્યમાં થયું છે. ૫૦ હજારથી વધુ હેક્ટરમાં રાજ્યમાં તમાકુનું વાવેતર કરવામાં આવ્યું છે.