પલસાણા જીઆઈડીસી પ્રદૂષણઃ જ્યાં સુધી પ્રજા જાગૃત નહીં થાય ત્યાં સુધી વાયુ પ્રદૂષણને ડામી નહીં શકાય

સુરતઃ લખનઉમાં પર્યાવરણ ક્ષેત્રના જાણીતા વૈજ્ઞાનિકો અને સંસ્થાઓ આજ ગુરૂવારથી શરૂ થઇ રહેલા રાષ્ટ્રીય સંમેલનમાં ગ્રીન કેમેસ્ટ્રી, વાયુ-જળ પ્રદૂષણ અને આબોહવા પરિવર્તન જેવા મહત્વપૂર્ણ અને સંવેદનશીલ વિષયો પર વિચારમંથન કરશે અને આ જોખમો સામે લડવા માટે ઉપાયો સૂચવશે. એક તરફ આ પ્રકારનું આયોજન થઇ રહ્યું છે ત્યારે મંગળવારે રાત્રિના સમયે સુરતમાં વેસુ-યુનિવર્સિટી રોડ પર ગેસની અસરને કારણે પાંચ બાળકો સહિત 10 લોકોને ખાંસી અને ઊલટીની તકલીફ થવાની ઘટના બનવા પામી. આ ઘટના બાદ અસરગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના આંખ ખોલનારી ઘટના છે, કેમ કે તે પ્રદૂષણ કેટલી હદ સુધી આપણા સુધી પહોંચી ગયું છે તેને દર્શાવે છે.

આ મુદ્દોને અહીં સંબોધવો જરૂરી બની રહ્યો છે, કારણ કે હવે જો પર્યાવરણ સંરક્ષણને લઇને સામાન્ય પ્રજા જો જાગૃત નહીં બને તો વધુ માઠા પરિણામો વેઠવાનો વખત આવી શકે છે. ગત સપ્તાહે સુરત શહેરમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચેલુ જોવા મળ્યું હતુ. ગત સોમવારો સુરતમાં એર ક્વોલેટી ઇન્ડેક્ષ 345ના આંકડા પર જોવા મળ્યો હતો. ચોક્કસથી શિયાળાની ઋતુમાં હવા ઘટ્ટ બનતી હોવાથી વાયુ પ્રદૂષણનું સ્તર ઉંચુ જોવા મળે છે, પરંતુ આ પરિબળની સાથેસાથે અન્ય પરિબળો પણ અસરકર્તા હોય છે. ખાસ કરીને શહેરોની આસપાસમાં આવેલી ઔદ્યોગિક વસાહતો જે રીતે વાયુ અને જળ પ્રદૂષણ ફેલાવે છે, તે બાબતો ગંભીરતાથી વિચારવું જોઇએ. આ વિશે ગત સપ્તાહે પર્યાવરણ ટુડે પર સચિન જીઆઈડીસીમાં વાયુ અને જળ પ્રદૂષણ અને ઉડતી રાખથી કાળી ચાદરને ઓઢીને જોવા મળતી જમીનના વીડિયોના સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

જુઓ વીડિયોઃ

આ સમસ્યા માત્ર સચિન જીઆઈડીસી વિસ્તાર પૂરતી મર્યાદિત નથી. પલસાણા જીઆઈડીસી વિસ્તારમાં પણ વાયુ પ્રદૂષણની સ્થિતિ ચિંતા ઉપજાવનારી છે. આ વિસ્તારમાં ઔદ્યોગિક એકમોની ચિમનીઓ કાળા ડિંબાંગ ધૂમાડાઓ ઓકી રહી છે. આ ધૂમાડાઓ પણ ખાસ કરી શિયાળાની ઋતુમાં ઘટ્ટ બનતી હવાના કારણે વાયુ પ્રદૂષણ ફેલાવવા માટે પણ જવાબદાર બની શકે છે. આ સ્થિતિમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ના સ્થાનિક અધિકારીઓ દ્વારા સઘન કાર્યાવાહી કરી ઉદાહરણીય કાર્યાવાહી કરવામાં તે ઇચ્છનીય બાબત છે.

ગત મહિને 14 નવેમ્બરના રોજ જ કિરણ ઇન્ડસ્ટ્રીઝમાં ટાંકી સાફ કરવા માટે ઉતરેલા કામદારોના મોત થયા હતા. આ દુખદ ઘટનાથી મૃતક કામદારોનો પરિવારનો માળો વિંખાઇ ગયો છે, પરંતુ આ રીતે થઇ રહેલા વાયુ પ્રદૂષણની ખરાબ અસર અનેક લોકોને સ્વાસ્થ્યને પણ તેટલી જ અસર કરે છે. તેથી જનતાએ પોતે જાગૃત થવું જરૂરી છે, નહીં તો આ પ્રદૂષણના ખપ્પરમાં અનેક જીંદગીઓ હોમાઇ જશે.