સચિવાલય સહિતની સરકારી ઓફિસોમાં જ ફાયર સેફ્ટી નહીં

હાઈકોર્ટ સમક્ષ થયેલા સોગંદનામામાં મોટો ખુલાસો

ગુજરાતભરમાં આગની ધ્રુજાવી દે તેવી ઘટનાઓમાં અનેક લોકોનાં મોત થયા છે. તક્ષશિલાકાંડને ૨ વર્ષ પુર્ણ થયા છે, તો કોરોનાકાળમાં અનેક હોસ્પિટલમાં ભયાવહ આગની ઘટનાઓ બની છે. તેવામાં સરકાર દ્વારા ફાયર સેફ્ટીના મુદ્દે કેટલી ગંભીર છે તેનો ખુલાસો હાઈકોર્ટમાં થયેલાં સોગંદનામામાં થયો છે. ગાંધીનગરમાં સચિવાલય સહિતની સરકારી કચેરીઓમાં જ ફાયર સેફ્ટી નથી.

હાઈકોર્ટ સમક્ષ થયેલા સોગંદનામામાં મોટો ખુલાસો થયો છે કે સચિવાલય, પોલીસ ભવન કચેરીમાં જ ફાયર સેફ્ટી નથી. એટલું જ નહીં ૪૦%થી વધુ સરકારી બિલ્ડીંગમાં ફાયર સેફ્ટી NOC નથી. ઉલ્લેખનીય છે કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી જેવી ઉચ્ચ ટેક્નોલોજીકલ સંસ્થાઓમાં પણ ફાયર સેફ્ટી નથી. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર ઓફિસરે કરેલા સોગંદનામામાં ખુલાસો થયો છે. આ ઉપરાંત વડોદરામાં ૬૪૬ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી NOC નથી. જૂનાગઢમાં ૧૨ કોવિડ, ૧૯ અન્ય હોસ્પિટલ પાસે NOC નથી.

ગાંધીનગરમાં કયા કયા બિલ્ડિંગમાં ફાયર સેફટી NOC નથી

બિરસા મુંડા ભવન

નિર્માણ ભવન

વસ્તી ગણતરી ભવન

જુના સચિવાલય બ્લોક ૧-૧૮

એસટીસી સ્ટાફ તાલીમ કોલેજ

ગુજરાત જળ કાર્ય વિભાગ

નવું સચિવાલય બ્લોક ૧-૭

નવું સચિવાલય બ્લોક ૮-૧૪

પાટનગર યોજના ભવન

સર્કિટ હાઉસ

વિશ્રામ ગૃહ

દાંડી કુટીર

જીપીએસસી ભવન

પોલીસ ભવન

કૃષિ ભવન

માધ્યમિક શિક્ષણ બોર્ડ

ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી