ગાંધીધામ ભચાઉ વચ્ચેના ધોરીમાર્ગ પર એસયુવી કારમાં આગઃ કોઈ જાનહાની નહીં

અત્યારે રાજ્યમાં અકસ્માત અને માર્ગ દુર્ઘટનાના કેસો વધી જવા પામ્યા છે. તેવામાં બુધવારના રોજ ગાંધીધામ ભચાઉ વચ્ચેના ધોરીમાર્ગ પર એક suv કારમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાની સાથે જ ડ્રાઈવર સાવચેતી દાખવીને કારની નીચે ઉતરી ગયો હતો. આગ એટલી ઝડપથી ફેલાઈ કે લોકોને બૂઝવવાનો પણ મોકો મળ્યો ન હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈપણ જાનહાની થઇ નથી. આજે બુધવારે બપોરે ૨ વાગ્યાની આસપાસ ગાંધીધામ ભચાઉ વચ્ચે આવેલા ધોરીમાર્ગ પર પડાના ગામ નજીકના જવાહર બ્રિજ ઉપર એક કારમાં અચાનક આગ લાગી જવા પામી હતી.

આ કાર ગાંધીધામથી ભચાઉ તરફ જઈ રહી ત્યારે અગમ્ય કારણોસર તેમા અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પરંતુ પ્રાથમિક માહિતી મુજબ આગ શોકસર્કિટ થવાના કારણે કારમાં ફેલાઈ હોવાની વાત સામે આવી હતી. જેની ડ્રાયવરને જાણ થતાં જ તે સમય સુચકતા વાપરીને કારની નીચે ઉતરી ગયો હતો. સદનસીબે ડ્રાઈવર હેમખેમ બહાર નીકળી જતા આ દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનીની ઘટના બની નથી.

પરંતુ આ ઘટનાને પગલે જવાહર બ્રિજ પરના માર્ગેથી પસાર થતા અન્ય વાહનોને ભારે મુશ્કેલીનો સામનો પડી ગયો હતો જેના કારણે ત્યાં થોડી વાર માટે બધા વાહનો થંભી ગયા હતા. આગ લાગવાની ઘટનાના થોડા સમયમાં જ કાર સંપૂર્ણ પણે બળીને ખાખ થઈ ગઈ હતી. જેના કારણે સ્થાનિકોને આગ પર કાબુ મેળવવાનો પણ મોકો મળ્યો ન હોતો. જે વાતની જાણ ત્યાંના સ્થાનિકે નજરે જોયાલા દૃશ્યો પરથી કરી હતી.