વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં ૨૫થી વધુ વિદ્યાર્થીઓ ડૂબ્યા, ૧૧ બાળકો, ૨ શિક્ષકોના મોત

વડોદરાઃ વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી હોવાની ઘટના સામે આવી છે. આ બોટમાં ૨૫થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. આ ઘટનામાં ૧૦થી વધુ વિધાર્થીઓ તેમજ ૨ શિક્ષકોના મોત થયા છે. જ્યારે અન્ય વિધાર્થીઓની શોધખોળ ચાલુ છે. બોટિંગ કરતા સમયે બોટ પલટી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હતા.

મળતી માહિતી અનુસાર, હરણી તળાવમાં ૨૫થી વધુ વિદ્યાર્થીઓ ભરેલી બોટ પલટતાં સ્થાનિક તરવૈયાઓ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બાળકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે,  તો તળાવમાંથી બહાર કાઢવામાં આવેલા વિધાર્થીઓને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં DCP, ACP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.

આ ઘટનામાં ન્યુ સનરાઈઝ સ્કૂલના વિધાર્થીઓ ડૂબ્યા હોવાની માહિતી મળી છે, ૧૬ની ક્ષમતા સામે બોટમાં ૨૫થી વધુ વિધાર્થીઓ બેસાડવામાં આવ્યા હતા. આ ઘટનામાં છાયા સુરતી અને ફાલ્ગુની પટેલ નામની ૨ શિક્ષિકાઓના મોત થયા છે. તો આ ઘટનામાં કુલ ૧૩ બાળકોના મોત થયા છે, પરંતુ હજુ મૃત્યુઆંક વધવાની શક્યતા છે. આ ઘટના બાદ તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે, ૧૬ની ક્ષમતા સામે શા માટે ૨૫થી વધુ વિધાર્થીઓને બેસાડવામાં આવ્યા?  તો વિધાર્થીઓને શા માટે લાઇફ જેકેટ પહેરાવવામાં ન આવ્યા? આ તમામ સવાલોના તંત્ર પાસે કોઈ જવાબ નથી.