આણંદ નજીક એક્સપ્રેસ-વે પર લક્ઝરી બસમાં આગ ભભૂકી, ૨૫ મુસાફરોનો આબાદ બચાવ

ફાયર બ્રીગેડના ફાયર માર્સલોએ એક લાખ રૂપિયા પરત કરી પ્રમાણિક્તા દાખવી

પુણેથી રાજસ્થાન જઈ રહેલી લક્ઝરી બસ સોમવારે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ-વે પર આણંદ નજીકથી પસાર થઈ રહી હતી. ત્યારે લક્ઝરી બસમાં અચાનક આગ લાગતા બસના ચાલકે બસને ઉભી કરી દીધી હતી. બસમાં સવાર મુસાફરો બસમાંથી સલામત રીતે બહાર નીકળી ગયા હતા અને જોતજોતામાં બસમાં આગ ભભુકી ઉઠી હતી.ઘટનાની જાણકારી મળતા આણંદ ફાયર બ્રીગેડના લાશ્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગ કાબુમાં લીધી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ રાજલક્ષ્મી ટ્રાવેલ્સની લક્ઝરી બસ પુણેથી મુસાફરો ભરી રાજસ્થાનના ભીલવાડા જઈ રહી હતી અને આ લક્ઝરી બસ આજે સવારે સાત વાગ્યાના સુમારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે ઉપર આણંદ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે લક્ઝરી બસમાં અચાનક આગ લાગી હતી. બસમાંથી ધુમાડાના ગોટેગોટા બહાર નીકળતા મુસાફરોમાં ભય અને દહેશત પ્રસરી ગઈ હતી.

પરિસ્થિતિનો તકાજો પામી ગયેલા લક્ઝરી બસના ડ્રાઈવરે તાત્કાલિક બસને રોડની સાઈડમાં ઉભી કરી દીધી હતી. બસ ડ્રાઈવર સહિત તમામ મુસાફરો બસમાંથી બહાર નીકળી સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા. આ દરમિયાન જોતજોતામાં લક્ઝરી બસ સંપૂર્ણ આગની લપેટોમાં આવી ગઈ હતી. બસ ભડભડ સળગી ઉઠી હતી. ઘટનાની જાણ થતા આણંદ ફાયર બ્રીગેડના લાશ્કરો સહદેવ રાઠોડ, નીલેશ ઠાકોર, જયેશ ઠાકોર, મયુર ચૌહાણ, રઘુવીર પઢીયાર, અવિનાશ પરમાર સહિતનાઓ ફાયર ફાઈટર લઈને ઘટનાસ્થળે દોડી ગયા હતા.