યમુનાને સાફ કરવા માટે ‘આઈ લવ યમુના’ અભિયાનનો પ્રારંભ

નવી દિલ્હી: દિલ્હી સરકારે બુધવારે યમુનાને સાફ કરવા માટે આઈટીઓથી ‘આઈ લવ યમુના’ અભિયાન શરૂ કર્યું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન દિલ્હીના પર્યાવરણ અને વન મંત્રી ગોપાલ રાયે કર્યું હતું. દિલ્હીની વિવિધ શાળાઓના ઈકો ક્લબના લગભગ 1500 બાળકો અને શિક્ષકોએ “આઈ લવ યમુના અભિયાન” કાર્યક્રમમાં તેમની સહભાગિતા નોંધાવી હતી. બાળકોને યમુના નદીના મહત્વ અને દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા વિશે જાગૃત કરવા માટે આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ બાળકોએ યમુના નદીની સ્વચ્છતાને લગતી સ્લોગન લેખન સ્પર્ધામાં ભાગ લીધો હતો અને યમુના નદીની સ્વચ્છતા અંગેના મહત્વના શપથ પણ લીધા હતા.

તેમણે જણાવ્યું હતુ કે યમુના  દિલ્હી માટે માત્ર એક નદી નથી, પરંતુ તે દિલ્હીની વિશાળ ઇકોસિસ્ટમને સમર્થન આપે છે. દિલ્હી તેની પાણી સંબંધિત મોટાભાગની જરૂરિયાતો માટે યમુના નદી પર નિર્ભર છે. પ્રદેશ અને તેના લોકોની આર્થિક અને પર્યાવરણીય જરૂરિયાતો માટે યમુના નદીનું ખૂબ મહત્વ છે. જો કે, વર્ષોથી, વિશાળ માત્રામાં રસાયણો, પ્લાસ્ટિક અને અન્ય બિન-બાયોડિગ્રેડેબલ પ્રદૂષકોએ નદીના પર્યાવરણીય સંતુલન સાથે ચેડા કર્યા છે. અમારી સરકાર આ પવિત્ર નદીની ગરિમા જાળવવાના તમામ પ્રયાસો કરી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર સમજે છે કે યમુનાની સફાઈ અને પુનઃસ્થાપનનું કામ અલગ-અલગ પ્રયાસોથી થઈ શકતું નથી. આ માટે તમામ હિતધારકો, સ્થાનિક સમુદાયો અને શૈક્ષણિક સંસ્થાઓ એક સાથે આવે અને સરકારને સહકાર આપે તે જરૂરી છે. સરકારે આ વર્ષના બજેટમાં યમુના નદીને તેના સ્તરે પુનર્જીવિત કરવા માટે 7-પોઇન્ટનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે.