જૂનાગઢનું નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારમાં પાણી ભરાયા

જૂનાગઢ શહેર ઉપરાંત જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે શહેરને પાણી પુરું પાડતો હસનાપુર ડેમ ઓવરફ્લો થતા હેઠવાસમાં આવેલા ગલીયાવાડ, સાબલપુર, સરગવાળા, બામણગામ અને દેરવાણ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.જૂનાગઢ શહેરમાં સવારે ૪ ઈંચ વરસાદ ખાબકતા નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થયું હતું. જેના કારણે સરોવરની આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા. ઝાંસીની રાણીના પૂતળા પાસે, સરદાર બાગ નજીક, આનંદ પાર્ક સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓની મુશ્કેલીઓ વધી હતી.

સરદાર બાગ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાણી ભરાઈ જતા મુશ્કેલી સર્જાઈ હતી. મહાનગરપાલિકાએ જેસીબીની મદદથી દીવાલ તોડી પાણીનો નિકાલ કર્યો હતો. ગિરનાર પર ભારે વરસાદના કારણે જૂનાગઢની કાળવા, લોલ, સોનરખ અને ઓજત નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે.

ગિરનાર પર વરસેલા વરસાદના કારણે ભવનાથ અને દોલતપરા વિસ્તારમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. શહેરમાં સવારે ચાર ઈંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ધોધમાર વરસાદના પગલે નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતા જોવા મળ્યા હતા. ધોધમાર વરસાદના કારણે ગિરનારની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ગિરનારના પગથિયા પરથી વહેતા પાણીના દ્રશ્યો સર્જાયા હતા.