અમદાવાદમાં પંચવટી વિસ્તારમાં બ્લીચ કેમ ગ્રુપ અને ધારા કેમિકલ પર આવકવેરા વિભાગના દરોડા યથાવત

રૂપિયા ૧૦૦ કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવતા ચકચાર મચી ગઇ

અમદાવાદઃ અમદાવાદમાં પંચવટી વિસ્તારમાં બ્લીચ કેમ ગ્રુપ અને ધારા કેમિકલ પર આવકવેરા વિભાગના દરોડા સતત ત્રીજા દિવસે યથાવત જોવા મળી રહ્યા છે. આવકવેરા વિભાગના અધિકારીઓની તપાસ બાદ કરોડો રૂપિયાના બેનામી વ્યવહારોના દસ્તાવેજો જપ્ત થયા છે. રૂપિયા ૧૦૦ કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવતા ચકચાર મચી ગઇ છે. ૧૧ ઓક્ટોબરે અમદાવાદમાં આવકવેરા વિભાગે તપાસ કરવાની શરૂઆત કરી હતી છે.

આવકવેરા વિભાગે અમદાવાદના જાણીતા વેપારી કેયુર શાહ સહિત અનેક વેપારીના ત્યાં તપાસ શરૂ કરી હતી. જે પછી હજુ પણ બ્લીચ અને ધારા કેમિકલના વેપારીના ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યુ છે. અત્યાર સુધીની તપાસમાં આઇટી‌ વિભાગને ૨૦ બેંક એકાઉન્ટ અને લોકરની વિગતો મળી આવી છે. જે પછી હવે આગામી દિવસોમાં બેંક લોકર ઓપરેટ કરવામાં આવશે.

વેપારી કેયુર શાહ, સંજય પટેલ અને દિપક શાહના ઘર સહિત ઓફિસમાં તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે કરોડોની કરચોરી પકડાય તેવી શકયતા છે. મહત્વનું છે કે પંચવટી વિસ્તારમાં કેમિકલના વેપારી સહિત ૨૦થી વધુ સ્થળોએ આઇટી વિભાગે રેડ પાડી છે. બ્લીચ કેમ ગ્રુપ અને ધારા કેમિકલના ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. આઇટી‌ના ૧૦૦ જેટલા અધિકારીઓ દરોડામાં જોડાયા છે. બે મોટા કેમિકલના વેપારીઓના ત્યાં દરોડા પાડીને આવકવેરા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે.