વડોદરાના વાડીમાં ફરસાણની દુકાનમાં આગ લાગતા દાઝી ગયેલા યુવકનું મોત થયું

વડોદરા શહેરના વાડી વિસ્તારમાં બે દિવસ પહેલા ફરસાણની દુકાનમાં આગની ઘટનામાં ઇજાગ્રસ્ત અજય આદિવાસી નામના યુવકનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. વડોદરા શહેરના વાડી શનિદેવ મંદિર પાસે મહાકાળી ફરસાણ એન્ડ સ્વીટ માર્ટમાં ગેસના સિલેન્ડરમાં આગ લાગતા કર્મચારી અને માલિક બંને દાઝી ગયા હતા. ફાયર બ્રિગેડના લાશ્કરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સ્થાનિકોએ બંને ઇજાગ્રસ્તોને SSG ખસેડ્યા હતા.

સમગ્ર ઘટના અંગે કુપેન સુખડિયાએ જણાવ્યું કે, શનિદેવ મંદિર પાસેની ફરસાણની દુકાનના રસોડામાં સિલેન્ડર બ્લાસ્ટ થતાં માલિક રાકેશભાઈ ભોઇ અને કારીગર અજય દાઝ્‌યા હતા. લાશ્કરોએ જણાવ્યું કે, રસોડામાં બોટલમાં આગ લાગી હતી. ફ્લેમ મોટી હોવાથી રસોડામાં ફેલાઈ હતી. સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો નથી. આગ દુકાનના આગળના ભાગ સુધી ફેલાતા અટકાવવામાં સફળતા મળી હતી. દુકાનની ઉપરના માળે રહેતા રવિ સથવારા, દીકરી અને બહેનને હેમખેમ નીચે ઉતારી રેસ્ક્યુ કરાયું હતું.સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન શહેરના બાપોદ વિસ્તારમાં રહેતા કારીગર અજય આદિવાસી (ઉંમર ૧૬ વર્ષ. મૂળ રહેવાસી પરાગરજ, યુપી)નું મોત થયું છે. તેમજ તેના પરિવારજનો દ્વારા માંગણી કરવામાં આવી છે કે અજયના આશ્રિતોનું ભરણપોષણ થાય તે માટે વળતર મળવું જોઇએ.