પૂર અને વરસાદના કારણે ટુરિઝમ પર અસર, ચોમાસા દરમિયાન પ્રવાસીઓની સંખ્યા ઓછી

હિમાચલ પ્રદેશમાં સતત ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે રાજ્યનું પ્રવાસન ક્ષેત્ર ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ખરાબ હવામાનને કારણે હિમાચલ પ્રદેશની હોટલોમાં બુકિંગ લગભગ બંધ થયું છે. જેના કારણે હોટલ માલિકોને ઘણું નુકસાન વેઠવું પડે છે. આ સ્થિતિને જોતા હોટેલ એસોસિએશને એક મોટું પગલું ભર્યું છે. પ્રવાસીઓને પાછા આકર્ષવા માટે, રૂમનું ભાડું અડધું કરવામાં આવ્યું છે. એટલે કે હવે હોટલ બુક કરાવવા પર ૫૦% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. ખરાબ હવામાનને કારણે પર્યટકો હિમાચલ જવાનું ટાળી રહ્યા છે. આવી સ્થિતિમાં રાજ્યના એક મંત્રીએ કહ્યું કે, હવે હિમાચલ પ્રદેશ આવવું સુરક્ષિત છે. લોકો હવે રાજ્યની મુલાકાત લઈ શકશે.

સામાન્ય રીતે, હિમાચલ પ્રદેશમાં ચોમાસા દરમિયાન પ્રવાસીઓની સંખ્યા ઓછી હોય છે, જેના કારણે હોટલના બુકિંગનો દર ૩૦ થી ૪૦ ટકા સુધી ઘટી જાય છે. પણ આ વખતે હોટેલ સાવ ખાલી રહી. આ કારણોસર હોટેલ એસોસિએશને રૂમનું ભાડું ઘટાડવાનો ર્નિણય લીધો છે. રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઘટાડાને ધ્યાનમાં રાખીને, હિમાચલ પ્રદેશ પ્રવાસન વિકાસ નિગમે ૧૫ સપ્ટેમ્બર સુધી રૂમના ભાડા પર ૫૦ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. ખાનગી હોટલોમાં પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ખરાબ હવામાનને કારણે જે રસ્તાઓ અવરોધાયા હતા તે પણ પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યા છે. ફેડરેશન ઓફ હિમાચલ હોટેલ્સ એન્ડ રેસ્ટોરન્ટ્‌સ એસોસિએશનના પ્રમુખ અશ્વની બામ્બાએ એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું કે ચિંતા કરવાની કોઈ વાત નથી. સપ્ટેમ્બર સુધીમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની ધારણા છે.

એક વીડિયો જાહેર કરતા જાહેર મંત્રી વિક્રમાદિત્ય સિંહે કહ્યું કે, રાજ્યમાં સ્થિતિ હવે સામાન્ય થઈ રહી છે અને અહીં મુસાફરી કરવી સલામત છે. લોકોને આશ્વાસન આપતા તેમણે કહ્યું, હવે હિમાચલ પ્રદેશમાં મુસાફરી કરવી સંપૂર્ણપણે સુરક્ષિત છે. રાજ્યના કુદરતી સૌંદર્યને માણવા પ્રવાસીઓ આવી શકે છે. સરકાર સુનિશ્ચિત કરશે કે તમને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે. તમને જણાવી દઈએ કે કોવિડ-૧૯ રોગચાળાને કારણે રાજ્યનો પ્રવાસન ઉદ્યોગ ખરાબ રીતે પ્રભાવિત થયો હતો. વર્ષ ૨૦૨૩ માં પ્રવાસીઓની સંખ્યામાં તેજી જોવા મળી હતી, પરંતુ જુલાઈ મહિનામાં ભારે વરસાદ અને પૂરના કારણે તે ફરી ખોરવાઈ ગઈ છે.