જો હજુ પાંચ દિવસ વરસાદ ખેંચાશે તો ગંભીર જળસંકટ ઉભું થશે

ગુજરાતમાં વરસાદ ખેંચાતા ગંભીર જળ સંકટ ઉભું થવાની દહેશત છે. ત્યારે સરકારે પણ ૫૬ ડેમોમાં પીવાનું પાણી ૩૦ સપ્ટેમ્બર સુધી આરક્ષિત રાખીને બાકીનું પાણી ખેડૂતોનો ઉભો પાક બચાવવા સિંચાઈ માટે આપવાની જાહેરાત કરી છે. તે ઉપરાંત ગુજરાતની જીવાદોરી કહેવાતા નર્મદા ડેમમાંથી પણ રાજ્યમાં ઓગસ્ટના અંત સુધીમાં જ સિંચાઈ માટે પાણી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

નર્મદા ડેમમાં ૧૮મી ઓગસ્ટની સ્થિતિએ ૧૧૫.૬૯ મીટરની સપાટીએ પાણી ભરેલું છે, જેમાંથી ૩.૪૯ મિલિયન એકર ફૂટ (એમએએફ) એટલે કે ૪૫.૫૦ ટકા પાણી ડેડ સ્ટોરેજ છે, જ્યારે વાપરી શકાય તેટલું પાણી ૦.૫૫ એમએએફ એટલે ૧૧ ટકા જ છે. તેથી અત્યારે ખેંચાયેલા વરસાદની સ્થિતિ હોવા છતાં સિંચાઈ માટે વધુ કાપ આવે તેવા સંજોગો છે.

રાજ્યમાં જો વધુ પાંચ દિવસ વરસાદ ખેંચાશે તો નર્મદામાંથી જે ડેમોમાં પાણી છોડવામાં આવે છે તે પાણી પણ બંધ થઈ જશે અને ગંભીર જળસંકટનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. મધ્યપ્રદેશમાં અત્યારે હાઇડ્રો વીજળી ઉત્પન્ન થઈ રહી હોઈ ૧૭ મી ઓગસ્ટની સ્થિતિએ નર્મદા ડેમમાં ૧૨ હજાર ૪૧૨ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે, એટલે સામે નર્મદા ડેમમાંથી ૧૫ હજાર ૨૦૦થી ૧૫ હજાર ૭૯૨ ક્યૂસેક સુધી કેનાલો દ્વારા પાણી છોડાઈ રહ્યું છે.

નર્મદા ડેમમાંથી રોજ ઉદ્યોગોને અપાતું ૧૨૫ ક્યૂસેક પાણી બંધ થવું જોઈએ.ખેડૂતોનું કહેવું છે કે, સરકારે પ્રથમ અગ્રતા પીવાનાં પાણીને અને દ્વિતીય અગ્રતા સિંચાઈના પાણીને આપવી જોઈએ અને જરૃર પડયે ઉદ્યોગોને અપાતું પાણી સદંતર બંધ કરીને ખેતી બચાવવા ફાળવવું જોઈએ. હાલની સ્થિતિમાં રાજ્ય સરકારે સિંચાઈ માટે કુલ ૩૬ હજાર ૫૦૦ મિલિયન ક્યૂબિક ફૂટ પાણી આપવાનું નક્કી કર્યું છે. આમાં ઉત્તર ગુજરાતને ૨ હજાર એમસીએફટી, મધ્ય ગુજરાતને ૧૨ હજાર એમસીએફટી, સૌરાષ્ટ્રને ૨૫૦૦ એમસીએફટી તેમજ દક્ષિણ ગુજરાતને ૨૦ હજાર એમસીએફટી પાણી સિંચાઈ માટે પૂરું પડાશે. ૯.૫ લાખ એકર ખેતીની જમીનને સિંચાઈ માટે પાણી ફાળવાશે.