લોકો જાગૃત નહીં થાય તો તહેવારમાં કોરોના સંક્રમણ વધવાનો ભય

રાજકોટ મહાનગરમાં આખા દેશની સાથે તા.૧૫ જુલાઇથી વેક્સિનનો ત્રીજો અને ડોઝ ફ્રી આપવાની શરૂઆત થઇ હતી. લોકોના ધીમા ઉત્સાહ વચ્ચે વેક્સિનના સ્ટોકમાં વધઘટ થતી રહે છે. છતાં જેટલા લોકો વેક્સિન ડોઝ લેવા આવે છે તેના કરતા તો આરોગ્ય કેન્દ્રો પર વધુ સ્ટોક ઉપલબ્ધ જ હોય છે.આથી પહેલા અને બીજા ડોઝ માટે જે રીતે સરકાર અને મહાપાલિકાએ કેમ્પ સહિતના જનજાગૃતિના પ્રયાસો કર્યા હતા તેવા આયોજનોની ખોટ વર્તાય રહી છે. છેલ્લા બે વર્ષના અનુભવ પરથી ઓગષ્ટ અને સપ્ટેમ્બર માસમાં જ સંક્રમણ વધ્યાનો તંત્રને પણ અનુભવ છે. આથી લોકોને કોરોનાથી વધુ સુરક્ષીત કરવા હર ઘર તિરંગાની જેમ હર ઘર પ્રિકોશન ડોઝ જેવા કાર્યક્રમની તાતી જરૂર છે.

મ્યુનિ. કોર્પોરેશનના રેકર્ડ પર નજર કરીએ તો તા.૪ ઓગષ્ટની સ્થિતિએ રાજકોટમાં એકંદરે ૨૦.૬૬ ટકા લોકોએ વેક્સિનના ત્રણે ડોઝ લીધા છે. તમામ કેટેગરીમાં ૧૦.૨૦ લાખ લોકોનો ટાર્ગેટ ચોપડા પર છે જે સામે ૨.૧૦ લાખ નાગરિકોએ ત્રીજો ડોઝ લીધો છે. એટલે કે હજુ ૮ લાખથી વધુ એટલે કે આઠ લાખ નવ હજાર નાગરિકો ત્રીજો ડોઝ લેવા આવતા નથી. મનપાના આરોગ્ય કેન્દ્રો પર ગઇકાલે પણ સાત હજારની સરેરાશમાં વેક્સિનેશન થયું હતું. રાજકોટમાં ૨૧૫૧૩ હેલ્થ વર્કરના ટાર્ગેટ સામે ૯૯.૩૫ ટકા એટલે કે ૨૧૩૭૪ આરોગ્ય કર્મીએ ત્રણે ડોઝ લઇ લીધા છે. આ જ રીતે ૧૪૪૦૬ ફ્રન્ટલાઇન વર્કર સામે ૯૭.૮૫ ટકા એટલે કે ૧૪૦૯૬એ પ્રિકોશન ડોઝ લઇ લીધો છે. ૬૦ વર્ષ ઉપરના ૧.૪૮ લાખ જેટલા લોકો સામે ૭૮ હજાર (૫૨.૬૦ ટકા)એ ત્રીજો ડોઝ લીધો છે. તો સરકારે ફ્રી કર્યા બાદ પણ ૧૮ થી ૫૯ વર્ષ વચ્ચેના ૮.૩૫ લાખ પૈકી માત્ર ૯૭ હજાર એટલે કે ૧૧.૬૩ ટકા લોકોએ પ્રિકોશન ડોઝ લીધા છે.

રાજકોટ શહેરમાં ધામધુમથી ઉજવાતા તહેવારના દિવસો શરૂ થઇ રહ્યા છે અને પૂરા સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રેસકોર્ષ મેદાનમાં યોજાવાનો છે ત્યારે જ કોરોના અને સિઝનલ રોગચાળાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. પરંતુ વેક્સિનના ત્રીજા ડોઝ પ્રત્યે લોકોની ઉદાસીનતા સામે આવી રહી છે.હાલ રાજકોટમાં ૮.૦૯ લાખ નાગરિકોએ ત્રીજા ડોઝ લીધો નથી. જો લોકો જાગૃત નહીં થાય તો તહેવારમાં કોરોના સંક્રમણ વધવાનો ભય છે.