શિમલામાં વાદળ ફાટવાથી ભારે તબાહી

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા સ્થિત કુમારસેન ક્ષેત્રમાં શનિવારે મોડી રાત્રે વાદળ ફાટવાથી ભારે તબાહી જોવા મળી છે. મળેલી જાણકારી પ્રમાણે મૂશળધાર વરસાદના કારણે શિવાન અને શલૌટા પંયાચતમાં ઘણા ઘરોમાં પાણી ફરી વળ્યા અને કાદવ ઘુસી ગયો છે. આ કારણે વિસ્તારના મોટા ભાગના રસ્તોઓને નુકસાન પહોંચ્યું છે. કચિંઘટી-શિવાન માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. ખેડૂતોના ખેતરના પાક અને સફરજનના બગીચા વરસાદમાં તણાઇ ગયા છે.

રાજ્ય આપદા પ્રબંધન પ્રાધિકરણના મતે પાઉછી, નાગજુબ્બડ અને શિવાનમાં ગત રાત્રે કરા પડ્યા હતા. પ્રદેશના ઘણા વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકથી પડી રહેલા વરસાદથી ૮૦ રસ્તા અને ૨૧૭ વિદ્યુત ટ્રાન્સફોર્મર ઠપ પડી ગયા છે. જેના કારણે વીજળી પણ બાધિત બની છે. મોસમ વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. આઈએમડીએ મેદાની, નીચલા અને મધ્યમ ઉંચા ક્ષેત્રોમાં ૨૦ જુલાઇ સુધી ભારેથી લઇને અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ કાશ્મીરમાં સ્થિત પવિત્ર અમરનાથ ગુફા પાસે ભારે વરસાદ વચ્ચે ૧૦ જુલાઇના રોજ સાંજે ૫.૩૦ કલાકની આસપાસ વાદળ ફાટવાની ઘટના સામે આવી હતી. તેની ચપેટમાં આવીને ગુફાની બહાર શિવિરમાં બનેલા ઘણા ટેન્ટ નષ્ટ થયા હતા. આ દુર્ઘટનામાં ૧૬ લોકોના મોત થયા હતા. ગુજરાતમાં વરસાદનો પહેલો રાઉન્ડ પૂર્ણ થયો છે. ગુજરાતમાં પહેલા રાઉન્ડમાં સરેરાશ ૫૬.૧૩ ટકા વરસાદ નોંધાયો.ગુજરાતના મોટા ભાગના ડેમો ભરાય ગયા છે. આ સાથે નદીઓ બે કાંઠે વહી રહી છે. જોકે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે અને અત્યંત ભારે વરસાદ થયો છે જેના કારણે ખેડૂતોને નુકસાન પણ થયું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ છૂટો છવાયા વરસાદી ઝાંપટાની શકયતા છે. પહેલા રાઉન્ડમાં પડેલા વરસાદી પાણી સુકાઈ તે પહેલાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ૨૨ જુલાઈના વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની શકયતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, ૨૨ જુલાઈથી ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ જશે. તેમાંથી ૨૪થી ૨૬ દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે અને ૩૦ જુલાઈ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.