હાઈકોર્ટનો મેગા પાઈપલાઇનમાં ગેર કાયદેસર જોડાણ કરનાર ગુલશન બેરલ્સ વિરૂદ્ધ FRI નોંધાવવા આદેશ

અમદાવાદઃ સાબરમતી નદીમાં થતા પ્રદૂષણ પર અંકુશ મેળવવા માટેના પ્રયાસોમાં ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (એસટીપી) યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં તે જોવા માટે નિરીક્ષણ કરવા માટે જણાવ્યું હતુ.

કોર્ટ મિત્ર હેમાંગ શાહ દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ દોષપૂર્ણ હોવા વિશે ધ્યાન દોરવામાં આવતા હાઈકોર્ટે એસટીપીના નિરીક્ષણ માટે જણાવવામાં આવ્યું હતુ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવતા એસટીપીની કામગીરી વિશે કોર્ટને જાણ કરવામાં આવતા ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ વી ડી નાણાવટીએ જણાવ્યું હતુ કે એસટીપી માપદંડોના અનુરૂપ નથી. તેથી અમારા મુજબ તે કાર્યરત નથી. માત્ર ચાર એસટીપી કાર્યરત છે, જ્યારે છ એસટીપી માપદંડોને અનુરૂપ નથી. આ ઉપરાંત, હાઈકોર્ટે એએમસી પાસેથી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સમાં સુધારા સહિતની બાબતો વિશેનો માહિતી એહવાલ માંગ્યો છે.

કોર્ટ મિત્ર દ્વારા ઝીરો-લિક્વિડ ડિસ્ચાર્જ સ્ટેટસ હોવા છતાં મેગા પાઈપલાઇનમાં ગેરકાયદેસર રીતે કચરાનો નિકાલ કરતા એકમ બાબતે પણ ધ્યાન દોરવામાં આવ્યું હતુ. ગુલશન બેરલ્સ નામના એકમ દ્વારા મેગા પાઇપલાઇનમાં ગેરકાયદે જોડાણ કરી બારોબાર ટ્રીટ કર્યા વિનાનું પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું હતુ.  તેની સામે એફઆઇઆર નોંધવા માટેની માંગ કરતા જીપીસીબીને ગુલશન બેરલ્સ સામે એફઆઇઆર નોંધાવવા માટે આદેશ કર્યો હતો.