સુરતમાં ૨૯ સપ્ટેમ્બરે વડાપ્રધાનના રોડ શો માટે તંત્ર દ્વારા રોડ રસ્તાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હવે ત્રણેક મહિના બાકી રહ્યાં છે. ત્યારે કેન્દ્રીય નેતાઓની ગુજરાતમાં અવરજવર વધી છે. ખાસ કરીને વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ગુજરાતના શહેરોની મુલાકાતો લઈ રહ્યાં છે. ત્યારે વડાપ્રધાન મોદી ફરીવાર ગુજરાત આવી રહ્યાં છે. વડાપ્રધાન મોદી ૨૯ સપ્ટેમ્બરના દિવસે સુરત આવશે.

વડાપ્રધાન મોદીનો સુરત પ્રવાસ રાજકીય રીતે પણ મહત્વનો બની રહેશે. વડાપ્રધાન મોદીના રૂટના રસ્તાઓ ની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આવી રહ્યા છે. ત્યારે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. ગોડાદરા મહર્ષિ આસ્તિક સ્કૂલ પાસે હેલીપેડ તૈયાર કરવામાં આવી રહ્યું છે. હેલીપેડથી લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ સુધી રોડ શો માટેની તૈયારીના ભાગરૂપે રોડ રસ્તાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. હેલીપેડથી વડાપ્રધાન મોદી રોડ શો કરીને હજારો લોકોનો સંપર્ક કરશે. ત્યારબાદ નીલગીરી સર્કલ ખાતે જંગી સભાનું આયોજન કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના લોકસભા મત વિસ્તારમાં આવી રહ્યા છે. સી આર પાટીલ પોતાનું શક્તિ પ્રદર્શન કરવા માટે હજારોની સંખ્યામાં લોકોને એકત્રિત કરવા માટેનું આયોજન કરી રહ્યા છે. રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો રોડની બંને બાજુ ઊભા રહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરે તેને માટે સી આર પાટીલે પોતાની ટીમને કામ લગાડી છે. તેમના મત વિસ્તારના તમામ ધારાસભ્યોને પણ વધુમાં વધુ લોકો કાર્યક્રમ સ્થળ પર પહોંચે તેના માટે વ્યવસ્થા કરવા માટે સૂચન કરાયું છે. નીલગીરી ગ્રાઉન્ડમાં નરેન્દ્ર મોદીની હાજરીમાં ફરી એક વખત ખીચો ખીચ ભરાઈ જાય તેના માટે તમામ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.