દિલ્હીમાં સફદરજંગ હોસ્પિટલમાં લાગી આગ,ICUના ૬૦ દર્દીને બચાવાયા

ફાયર વિભાગની ૯ ગાડીઓએ આગને કાબૂમાં લીધી
દિલ્હીમાં સફદરજંગ હોસ્પિટલમાં બુધવારે વહેલી સવારના પહોરમાં જમાં આગ ફાટી નીકળી. આગ હોસ્પિટલના પ્રથમ માળના મેડિસિન વિભાગમાં સવારે ૬.૩૫ લાગી હતી. તે ધીમે-ધીમે ૐ બ્લોક વોર્ડ ૧૧ સુધી પહોંચી ગઇ હતી. જો કે આગ વધુ પ્રસરે તે પહેલાં આઇસીયુના ૬૦ દર્દીને બીજી જગ્યાએ શિફ્ટ કરાયા હતા. સદનસીબે આગ પર કાબુ મેળવી લેવાયો છે અને કોઇ જાનહાનિ થઇ નહીં હોવાનું જાણવા મળ્યું છે.

ઘટના અંગે સફદરજંગ હોસ્પિટલે નિવેદન જારી કરી જણાવ્યું કે આજે સવારે ૬.૩૫ કલાકે સવારે આગ લાગી હતી. તેની માહિતી ફાયર બ્રિગેડને આપવામાં આવી હતી. જેને પગલે ૯ ફાયર ટેન્ડર અહીં આવી ગયા હતા. તે દરમિયાન હોસ્પિટલ સ્ટાફની મદદથી ૬૦થી વધુ દર્દીને અન્ય સ્થળે શિફ્ટ કરી દેવાયા. આગ ઓલવાઇ ગઇ અને કોઇ જાનહાનિ થઇ નથી.

ઘટના અંગે ફાયર બ્રિગેડના અધિકારી અતુલ ગર્ગે જણાવ્યું કે આગ લાગી ત્યારે આઇસીયુ વોર્ડમાં ૬૦ દર્દી દાખલ હતા. તે બધાને પહેલાં તો સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. તેના થોડા સમય બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. આગ લાગવાનું કારણનું હજુ જાણી શકાયુ નથી. પરંતુ આઇસીયુ વોર્ડનો તમામ સામાન, મશીન બળીને ખાખ થઇ ગયા.

નોંધનીય છે કે મુંબઇમાં ૨૬ માર્ચે ભાંડુપ ખાતેના મોલની સનરાઇઝ હોસ્પિટલમાં લાગેલી આગમાં ૧૩ લોકોનાં મોત થઇ ગયા હતા. તેમાંથી ૯ કોવિડ દર્દીનો પણ સમાવેશ થાય છે. આ ઘટના અંગે પોલીસે હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર લિ.ના પ્રમોટર રાકેશ વાધવાન અને અન્ય પાંચ લોકો સામે ગુનો નોંધ્યો છે.