દિલ્હીની કોવિડ હોસ્પિટલમાં લાગી આગ, ૨૬ કોરોના દર્દીઓને બચાવાયા

વિકાસપુરીમાં આવેલા એક નર્સિંગ હોમમાં મંગળવારે રાત્રે અચાનક જ આગ લાગી હતી. જાેકે, આ નર્સિંગ હોમમાં કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. ફાયર વિભાગે તમામ ૨૬ કોરોનાના દર્દીઓને બચાવી લીધા હતા.

ફાયર ઓફિસર અતુલ ગર્ગે જણાવ્યું, યુકે નર્સિંગ હોમમાં રાત્રે ૧૧ વાગ્યે આગ લાગી હતી. સૂચના મળતા જ ફાયર વિભાગની ૮ ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. એક તરફ ફાયર વિભાગના કર્મચારીઓએ આગ બૂઝાવી તો બીજી તરફ દર્દીઓને હેમખેમ બચાવવામાં આવ્યા હતા.

નર્સિંગ હોમમાં કુલ ૨૬ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, જેમાંથી ૧૭ કોરોનાના દર્દી હતા. ફાયર વિભાગે સમયસર પહોંચીને તમામ દર્દીઓને બચાવી લીધા હતા. ત્યારબાદ આગ પર પણ કાબૂ મેળવવામાં આવ્યો હતો. જાેકે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.