ઉકાઈ ડેમમાં પાણીની સપાટીમાં ઘટાડો થતા દક્ષિણ ગુજરાતમાં ઉનાળામાં પાણીની સમસ્યા થાય તેવી ભીતિ

સુરતઃ ઉકાઈ ડેમની સપાટીમાં ૮ દિવસમાં સવા ફુટનો ઘટાડો થયો છે. વરસાદ પાછો ખેચાયો હોવાથી ૨૮ ઓગસ્ટથી ઉકાઈ ડેમમાં પાણીની આવક બંધ થઈ છે. ઉકાઈ ડેમમાં પાણીની સપાટીમાં ઘટાડો થતા દક્ષિણ ગુજરાતમાં ઉનાળામાં પાણીની સમસ્યા થાય તેવી ભીતિ જાવા મળે છે. શેરડી અને ડાંગરના પાક માટે પાણી આપવું જરૂરી છે. ઉકાઈ ડેમમાં પાણી ઓછુ હોવાથી ઉનાળુ ડાંગરના પાકને પાણી મળવાની શક્યતા નહિવત છે. ૩ વર્ષ પહેલા સપ્ટેમ્બરમાં ડેમનું પાણી દરિયામાં વહાવી દેવામાં આવ્યુ હતુ. તો બીજી તરફ ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની વ્હારે સરકાર આવી છે. ડાંગર અને શેરડીનો પાક બચાવવા ઉકાઈ ડેમમાંથી ૭ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે. કાકરાપાર ડાબા જમણા કાંઠા નહેરમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે જેથી ખેડૂતોની ચિંતા ઘટશે. સિંચાઈનું પાણી છોડવાથી ડાંગર અને શેરડીનો પાક બચી જશે.

છેલ્લા ૧૦ વર્ષમાં પ્રથમવાર ઓગસ્ટ બાદ સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં વરસાદ પડ્યો નથી. ભરૂચ, સુરત, નવસારી, વલસાડના ખેડૂતોએ સિંચાઈના પાણી માટે રજૂઆત કરી હતી. બાદમાં રાજય સરકારે માગ સ્વીકારી છે.