બાંગ્લાદેશના ચટગાંવ ઓક્સિજન પ્લાન્ટમાં વિસ્ફોટ, ૬ લોકોના મોત, ૩૦થી વધુ લોકો ઘાયલ

બાંગ્લાદેશમાં શનિવારે બપોરે ચટગાંવમાં સીતાકુંડ ઉપઝિલાના કદમ રસૂલ (કેશબપુર) વિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા અને ૩૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. સ્થાનિકોએ જણાવ્યું હતું કે ઓક્સિજન પ્લાન્ટમાં વિસ્ફોટની અસર એટલી હતી કે તેનાથી બે ચોરસ કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી ઇમારતો હચમચી ઉઠી હતી. આટલું જ નહીં, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે પ્રચંડ વિસ્ફોટ પછી પ્લાન્ટથી કેટલાંક કિલોમીટર દૂર ફેસિલિટીમાંથી અલગ-અલગ વસ્તુઓ પડી ગઈ હતી. જ્યાં ઓક્સિજન પ્લાન્ટમાં પાંચ લોકોના મોત થયા હતા, ઓક્સિજન પ્લાન્ટથી લગભગ એક કિલોમીટર દૂર કદમ રસૂલ બજારમાં પોતાની દુકાનમાં બેઠેલા ૬૫ વર્ષીય શમશુલ આલમ પર ધાતુની વસ્તુ પડતા તેનું મોત થયું હતું. આલમના ભાઈ મૌલાના ઓબેદુલ મુસ્તફાએ મીડિયાને જણાવ્યું કે વિસ્ફોટ પછી લગભગ ૨૫૦-૩૦૦ કિલો વજનની ધાતુની વસ્તુ તેના પર પડી અને તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. મદમબીર હાટના રહેવાસી રદવાનુલ હકે કહ્યું કે તેણે વિસ્ફોટ પછી કદમરસુલ વિસ્તારમાંથી ધુમાડાના ગોટેગોટા ઊગતા જોયા અને ફેક્ટરીમાં ગયા. તેણે ઓછામાં ઓછા ૧૨ ફેક્ટરી કામદારોને પ્લાન્ટની બહાર લઈ જતા જોયા.

નજીકની રેડીમેડ ગારમેન્ટ ફેક્ટરીના એક કામદારે જણાવ્યું કે તેણે એક વિસ્ફોટ સાંભળ્યો જેનાથી ફેક્ટરીમાં બારીના કાચ તૂટી ગયા. કામદારે કહ્યું કે કાચનો ટુકડો તેના પર પડ્યો અને તેને ઈજા થઈ. કુમિરા ફાયર સર્વિસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારી સુલતાન મહમૂદના જણાવ્યા અનુસાર, ઓક્સિજન પ્લાન્ટમાં સાંજે લગભગ ૪.૩૦ વાગ્યે આગ લાગી હતી.

માહિતી મળતાં જ સીતાકુંડા અને કુમીરા ફાયર સર્વિસના નવ ફાયર એન્જિનને સામૂહિક રીતે સ્થળ પર રવાના કરવામાં આવ્યા હતા. આગ પર કાબૂ મેળવવા માટે કર્મચારીઓને એક કલાકથી વધુ સમય લાગ્યો હતો. વિસ્ફોટ કયા કારણોસર થયો તે હજુ સુધી ફાયર અધિકારીઓએ શોધી શક્યું નથી. આ અંગે હોસ્પિટલ પોલીસ ચોકીના ઈન્ચાર્જ નુરુલ આલમ આશકે જણાવ્યું કે વિસ્ફોટમાં ઘાયલ થયેલા લગભગ ૨૫ લોકોને ચટગાંવ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઓક્સિજન પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ પોલીસ હજુ સુધી કરી શકી નથી. ગયા વર્ષે ૪ જૂને મ્સ્ કન્ટેનર ડેપોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ફાયર સર્વિસના સભ્યો સહિત ૫૧ લોકોના મોત થયા હતા અને ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.