કોરોના પછી H3N2 વાયરસ, કેટલો ખતરનાક છે આ વાયરસ અને શું છે તેના લક્ષણો?.. જાણો

વૈશ્વિક મહામારી કોવિડ ૧૯ એ બે વર્ષથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. ભારતમાં આ રોગચાળાને કારણે લાખો લોકોના મોત થયા છે. કોરોના બાદ હવે H3N2 વાયરસે ડોક્ટરોને ચિંતામાં મૂકી દીધા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં આ વાયરસના ઘણા દર્દીઓ મળી આવ્યા છે. રાજધાની દિલ્હીમાં આ વાયરસના કેસમાં વધારો થયો છે. જો કે હાલમાં તે નિયંત્રણમાં છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર પોઝિટિવ મળી આવેલા દર્દીઓની હાલત ગંભીર નથી. ડૉ. અર્જુન ડાંગે જણાવ્યું કે H3N2 એક પ્રકારનો ઈન્ફલ્યુએન્ઝા છ છે. આ વાયરસ નાક, ગળા, ઉપરના શ્વસન માર્ગ અને ઘણા કિસ્સાઓમાં ફેફસાંને અસર કરે છે. જો કે, તે એક મોસમી રોગ છે જે દર શરદી અથવા ફ્લૂની મોસમમાં મોસમી રોગચાળાનું કારણ બને છે. ડૉ. ડાંગના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક અઠવાડિયામાં ૧૦૦ થી વધુ પરીક્ષણોમાં મહત્તમ H3N2 પોઝિટિવ દર્દીઓ છે. મોટાભાગના દર્દીઓની હાલત  ગંભીર નથી.

જો કે, જો સંખ્યા વધે તો આરોગ્ય સુવિધાઓને અસર થઈ શકે છે. H3N2 વાયરસના મુખ્ય લક્ષણો તાવ, ઉધરસ, ગળામાં દુખાવો છે. આ સિવાય વારંવાર ઉલ્ટી અને ઝાડા થવાની ફરિયાદ પણ થઈ શકે છે. તે શરદી અને ઉધરસ જેવું જ દેખાય છે. કોઈ વ્યક્તિ H3N2 વાયરસથી પીડિત છે કે નહીં, તે લેબ ટેસ્ટ દ્વારા જ જાણી શકાય છે. ડો. ડાંગના જણાવ્યા મુજબ, કોવિડ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ, સ્વચ્છતા, માસ્ક પહેરવા જેવી સાવચેતીઓ લેવામાં આવી હતી, આપણે આ વાયરસમાં પણ તે જ લેવાની છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે વાર્ષિક ઈન્ફલ્યુએન્ઝા રસીના શોટ મેળવીએ. તે આપણને કોઈપણ ગંભીર લક્ષણો અને ગૂંચવણોથી બચાવે છે. H3N2 વાયરસ સૌપ્રથમ ૧૯૬૮માં મનુષ્યોમાં જોવા મળ્યો હતો. તેનો પહેલો કેસ હોંગકોંગમાં જોવા મળ્યો હતો. આ પછી તે પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ અને અમેરિકામાં ફેલાઈ ગયો.