અંજારના લાખાપર પાસે પાઈપલાઈનમાં લીકેજથી પાણીનો વ્યય

કચ્છ જિલ્લામાં નર્મદાનું પાણી વહન કરતી ગુજરાત વોટર ઇન્ફ્રા.ની પાણીની પાઇપ લાઈનમાં સમયાંતરે ભંગાણ સર્જાતું રહે છે, જેના કારણે હજારો-લાખો લીટર પાણીનો વ્યય થતો હોય છે. તંત્ર દ્વારા લિકેજના સમારકામ માટે બાદમાં બનાવસ્થળે પાણી સપ્લાય પણ બંધ રાખવાની ફરજ પડતી હોય છે. જેને લઈ તે વિસ્તારમાં પાણી વિતરણમાં પણ અસર પહોંચતી હોય છે. વારંવાર સર્જાતા ભંગાણથી તંત્ર અને લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે. તેમ છતાં આ સિલસિલો હજુ સુધી યથાવત રહેવા પામ્યો છે. તંત્ર દ્વારા આ માટેના યોગ્ય પગલાં લેવામાં આવે એવી માગ ઉઠી છે.

કચ્છ જિલ્લામાં નર્મદાનું પીવાનું પાણી પૂરું પાડતી મુખ્ય પાણી પાઇપ લાઈનમાં ફરી એક વખત ભંગાણ સર્જાયું છે. અંજારના લાખાપર નજીક પાઇપ લાઈનના એરવાલ્વમાં લીકેજ સર્જાયું છે, લિકેજના કારણે અસંખ્ય લિટર પાણી વહી ગયું છે અને પાણીના ફુવારા ઉડી રહ્યા છે. અને પાણીનો બગાડ ચાલુ છે. જોકે પાણીનો બગાડ અટકાવા સંબધિત તંત્ર દ્વારા બનાવસ્થળે સમારકામની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.