સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ ખાતે ભૂકંપનો આંચકો

સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે આજે ૧.૨ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ નર્મદા ડેમથી માત્ર ૫૦ કિ.મી. નોંધાયુ હતું. જોકે, નર્મદા ડેમને કોઇ ખતરો નથી, કારણ કે, નર્મદા ડેમ ૬.૫ના ભૂકંપમાં પણ સુરક્ષિત છે.

ઈન્સ્ટીટ્યુટ ઑફ સિસ્મોલોજીકલ રિસર્ચ, ગાંધીનગરના જણાવ્યા પ્રમાણે આજે સવારે ૧૧ઃ૦૯ કલાકે કેવડિયામાં ૧.૨ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ સ્ટેચ્યૂ ઓફ યુનિટી-નર્મદા ડેમથી માત્ર ૫૦ કિમી દૂર હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા ૧.૨ નોંધાઇ હતી અને ભૂકંપની ડેપ્થ ૧૮.૧ કિ.મી.ની હોવાનું જાણવા મળ્યું છે.

સરદાર સરોવર ડેમની ડિઝાઈન અને બાંધકામ રિક્ટર સ્કેલ મેગ્રીટ્યુડ અનુસાર ૬.૫ની તીવ્રતા માટે અને ધરતીકંપનું કેન્દ્ર સરદાર સરોવર ડેમથી ૧૨ કિ.મી.ની ત્રિજ્યામાં હોય તો પણ સલામત રહે તે રીતે કરવામાં આવેલ છે.