ક્લાઈમેટ ચેન્જના કારણે ભારતમાં ૪ કરોડ લોકોને કરવુ પડશે સ્થળાંતર

એક રિસર્ચમાં દાવો કરાયો
ભારત સહિત દક્ષિણ એશિયાના લોકો માટે ક્લાઈમેટ ચેન્જની સમસ્યા ભવિષ્યમાં વિકરાળ સ્વરુપ ધારણ કરશે અને એક સંશોધન પ્રમાણે એકલા ભારતમાં જ તેના કારણે ચાર કરોડ લોકો સ્થળાંતર કરવા માટે મજબૂર બનશે.

એક્શન એડ અને સાઉથ એશિયા ક્લાઈમેટ એક્શન નેટવર્કના એક રિસર્ચમાં આ દાવો કરાયો છે.જે પ્રમાણે દક્ષિણ એશિયાના ભારત સહિતના દેશોમાં કુલ ૬ કરોડ લોકોને પોતાનુ ઘર છોડવાનો વારો આવશે.આ આંકડો યુધ્ધના કારણે લોકોને કરવા પડતા પલાયન બરાબર છે. રિપોર્ટમાં કહેવાયુ છે કે, ક્લાઈમેટ ચેન્જના કારણે દરિયાની સપાટી ઝડપથી વધી રહી છે.સાફ પાણી ઓછુ થઈ રહ્યુ છે અને ખેતી પણ ઓછી થઈ રહી છે. દુકાળ પડવાના કિસ્સા વધી રહ્યા છે.આ તમામ પરિબળોના કારણે ઘણા લોકો પોતાની જગ્યા છોડીને બીજે રહેવા માટે ફરજિયાત સ્થળાંતર કરશે.

માત્ર ભારત જ નહી પણ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકામાંથી પણ મોટાપાયે માઈગ્રેશન થશે. ભારતીય ઉપખંડમાંથી કુલ ૬ કરોડ લોકોને સ્થળાતંર કરવુ પડે તેવી સ્થિતિ ઉભી થઈ શકે છે.

રિપોર્ટમાં એવુ પણ કહેવાયુ છે કે, જો તમામ દેશ ક્લાઈમેટ ચેન્જને રોકવા પગલા ભરે અને એવરેજ તાપમાનમાં ૨ ડિગ્રીનો ઘટાડો કરી શકે તો પણ આ દેશોમાથી ૩ કરોડ લોકોને તો પોતાના ઘર છોડવા જ પડશે.