કોરોના હાંફ્યોઃ અમદાવાદની ખાનગી ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં ૯૪ ટકા બેડ ખાલી

ગુજરાતમાં હવે કોરોનાનો કહેર ઓછો દેખાઈ રહ્યો છે. દિવાળી બાદ જે રીતે કેસોનો રાફડો ફાટ્યો હતો, તેવું ઉત્તરાયણના તહેવાર બાદ જોવા ન મળ્યું. લોકોએ પ્રસંગ ઉજવવામાં સંયમ રાખતા કોરોના વકર્યો નથી. ત્યારે અમદાવાદ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની ખાનગી કોવિડ ૧૯ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં ૯૪ ટકા બેડ ખાલી છે. કોરોનાના કેસો ઘટતાં હેલ્થ વર્કર્સ સહિત તંત્ર માટે પણ રાહતની ખબર છે.

અમદાવાદમાં હાલ એએમસી દ્વારા ૯૦ ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના ઈલાજ માટે કરાર કરાયા છે. ૯૦ ખાનગી કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે ૩૩૯૫ બેડ ઉપલબ્ધ છે. હાલ માત્ર ૨૩૨ બેડ પર જ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. આમ, આંકડા મુજબ, આજની સ્થિતિએ ૩૧૬૩ બેડ ખાનગી હોસ્પિટલમાં ખાલી છે. કોરોનાની સ્થિતિ વિશએ એમડી ફિઝીશિયન ડો. પ્રવીણ ગર્ગે જણાવ્યું કે, અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે જે તમામ લોકો માટે રાહતની ખબર છે, જો કે હાલની સ્થિતિ જોતા આપણે માસ્ક પહેરવાનું છોડી દઈએ તેવું ના થવું જોઈએ. કોરોના હજુ પણ છે, એટલે માસ્ક, સોશિયલ ડિસ્ટનસિંગ તેમજ સેનેટાઇઝરનો ઉપયોગ કરતા રહેવું જરૂરી જ રહેશે.

આ સિવાય યુકે સ્ટ્રેઇનના કેટલાક દર્દીઓ આપણા દેશમાં જોવા મળ્યા. જેઓ વિદેશથી પરત ફર્યા હતા. પરંતુ સદનસીબે વિદેશોમાં જે રીતે કોરોનાના કેસો જે ઝડપથી વધ્યા છે એ જોતાં આપણી સ્થિતિ ખૂબ જ સારી કહી શકાય.

આ સિવાય દેશમાં વેક્સીનેશન પણ શરૂ થઈ ગયું છે એટલે હવે અપેક્ષા કરીએ કે દેશને વધુ નુકસાની ઉઠાવવી ના પડે. સૌ કોઈ સમજદારી દાખવે, દિવાળીમાં જે ભૂલ થઈ તેવી ભૂલ ઉત્તરાયણમાં થઈ નથી. જે સાવચેતીથી લોકોએ ઉત્તરાયણ ઉજવી એવી જ રીતે જો પરિવાર સાથે સાવચેતીથી આગામી સમયમાં સંયમ જાળવી રાખીશું, તો મે જૂન મહિના સુધીમાં વધુ રાહત મળશે.

હાલ ખાનગી હોસ્પિટલમાં તેમજ સરકારી હોસ્પિટમાં પણ અનેક બેડ ખાલી છે, આવી જ સ્થિતિ રહેશે તો જે કોઈ કોરોનાગ્રસ્ત થશે તેને સારી અને ઝડપી સારવાર આપી શકાશે, જેનાથી મૃત્યુદર પણ નિયંત્રિત રાખી શકાશે. ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબૂમાં આવી રહ્યો છે. રાત્રિ કફ્ર્યૂ બાદ સ્થિતિ ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો ૧૦૦૦ ની નીચે આવ્યો છે. આજે રાજ્યમાં નવા ૪૮૫ કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં ૭૦૯ નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૨,૪૬,૫૧૬ દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે.