રાજકોટમાં જિલ્લા ગાર્ડનમાં ૮ વિદેશી પક્ષીઓના મોતથી રહીશોમાં બર્ડ ફ્લૂનો ફફડાટ

દેશમાં કોરોના રસી આવ્યા બાદ કોરોના વાયરસની મહામારીના આંક ઘટી રહ્યાં છે ત્યારે બર્ડ ફ્લૂએ માથુ ઉંચક્યું છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં હાલ બર્ડ ફ્લુનો ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટના જિલ્લા ગાર્ડનમાં છ જેટલા રોજી સ્ટાર્લિંગ નામના પક્ષીઓના મોત નિપજ્યાનું સામે આવ્યું છે. જીલ્લા ગાર્ડનમાં સવારે મોર્નિંગ વોક કરવા નીકળેલા લોકોએ કુલ છ જેટલા પક્ષીઓના મોત નિપજ્યા હોવાની જાણ રાજકોટ શહેર પોલીસના કંટ્રોલરૂમમાં કરી હતી. ત્યારે રાજકોટ શહેર પોલીસ કંટ્રોલરૂમ દ્વારા રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસને સમગ્ર મામલાની જાણ કરવામાં આવી હતી.

ત્યારે ઘટનાની જાણ થતાં જ ભક્તિનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે પક્ષીઓના મૃતદેહ મામલે પંચનામાની કાર્યવાહી કરી હતી. તો સાથે જ વેટરનીટી ડૉક્ટરની હાજરીમાં પક્ષીઓના મૃતદેહનું પીએમ કરાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે સમગ્ર મામલે પક્ષીઓના પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ પક્ષીઓના મોત કયા કારણે થયા હતા તે આ સામે આવી શકશે.

બીજી તરફ સતત બીજા દિવસે પક્ષીઓના મોત થતાં જીલ્લા ગાર્ડન માં મોર્નિંગ વોક કરવા આવનાર લોકો તેમજ આસપાસના રહીશોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે પીએમ રિપોર્ટમાં પક્ષીઓના મોતનું કારણ બર્ડ ફ્લૂના કારણે થયું હોવાનું સામે આવે છે કે પછી અન્ય કોઈ કારણ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે. ત્યારે હાલ તો જીલ્લા ગાર્ડન ની આજુબાજુ રહેતા રહીશો જીવ અઘ્ધર તાલે થઈ ચૂક્યા છે.