પશુ ચિકિત્સકની ટીમે ૨૨૦ ફાર્મના અનેક મરઘાઓને જમીનમાં દફન કર્યાં

ગીર સોમનાથના ચીખલી ગામે દેશી મરઘા ફાર્મના ૧૦ મરઘાનો બર્ડફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બર્ડફ્લૂ પોઝિટિવ કેસથી જિલ્લ તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લા તંત્ર દ્વારા ૧૦ કિમીના વિસ્તારમાં માંસ અને ચિકન પર પ્રતિબંધ લગાવ્યો છે. સાથે જ આ વિસ્તારમાં અનેક મરઘાઓનો નાશ કરાયો છે.  ગીર સોમનાથના ઉનાના ચીખલી ગામે ભાવેશભાઈ પાચા નામના વ્યક્તિના દેશી મરઘા ફાર્મમાં થોડા દિવસ પહેલા અચાનક મરઘા ટપોટપ મરવા લાગ્યા હતા. અને એક બે નહિ પણ ૧૫૦ થી વધુ મરઘાના મોત થતા સોમનાથ જિલ્લા અને જુનાગઢ જિલ્લાના પશુ ચિકિત્સકની ટીમો ચીખલી પહોંચી હતી. જ્યાં ૧૩ જેટલા મરઘાના સેમ્પલ પરીક્ષણ માટે ભોપાલ મોકલાયા હતા. જે પૈકીના ૧૦ મરઘાના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમા દોડધામ મચી છે.

ત્યારબાદ ચીખલી ગામે આ મરઘા ફાર્મની આસપાસમાં અલગ અલગ ફાર્મમાં ૨૨૦ જેટલા મરઘા હતા. જેમને જિલ્લા પશુ ચિકિત્સકની ટીમ વહેલી સવારે આવી આ તમામ મરઘાઓને જમીનમાં દફન કર્યા છે. આ વિશે ગીર સોમનાથના નાયબ પશુપાલક નિયામક ડીએમ પરમારે જણાવ્યું કે, ઉનાના ચીખલી ગામે દેશી મરઘાના ફાર્મમાં મરઘાનો રિપોર્ટ બર્ડ ફલૂ પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે. બર્ડફલૂના વાયરસનો માણસમાં પ્રવેશ ન થાય તે હેતુથી પ્રશાસન દ્વારા ૧૦ કિલોમીટરના વિસ્તારની તમામ ચીકન, નોનવેજની હોટેલો બંધ કરાવી છે. તેમજ ચીકન ખાવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જોજે હવે બર્ડફલૂના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ચીખલી ગામ આસપાસના એક કિમીમીટરના વિસ્તારમાં અન્ય પક્ષીઓ પર પણ બાજ નજર રાખવામાં આવશે.

મરઘા ફાર્મના માલિક અને તેમના પરિવારને આરોગ્ય વિભાગ દ્વારા પ્રથમ દિવસે જ ટેબ્લેટ આપી સુરક્ષિત રાખવા પ્રયાસ કર્યો હતો. તો કોડીનારના બ્લોક હેલ્થ ઓફિસર ડો. મહેશ પઢિયારે કહ્યું કે, હાલ તો જિલ્લાના લોકોમાં ચર્ચા થઈ રહી છે કે મરઘા ફાર્મ સુધી બર્ડફ્લૂ કેવી રીતે પહોંચ્યો. ત્યારે એવી આશંકા સેવાઈ રહી છે કે, ઠંડા વાતાવરણમાં ઈન્ફેક્ટેડ પક્ષીમાંથી, હવા મારફતે આ ચેપ ફાર્મ સુધી પહોંચ્યો હોઈ શકે છે. હાલ ચીખલી અને આસપાસના વિસ્તારના તળાવોમાં મોટા પ્રમાણમાં વિદેશી પક્ષીઓનો વસવાટ છે. જેને લઈ અહીં બર્ડફ્લૂ વકરે તેવી પણ આશંકાઓ સેવાઈ રહી છે.