પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવનો મોટો નિર્ણય

અમદાવાદમાં પ્રદૂષણનું જાેખમ વધતા હવે ભારે વાહનને દિવસે શહેરમાં નો-એન્ટ્રી
આરટીઓનાં કામકાજ માટે આવતાં વાહનોને સવારે ૧૦ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી અવર-જવરની છૂટછાટ, પેસેન્જર વાહન, કેપેસિટી ૩૩ સીટવાળી મિની બસ શહેરની અંદર પ્રવેશ કરી શકશે, ૭૫૦૦ કિગ્રા સુધીના વજન સાથેના વાહન શહેરમાં પ્રવેશ કરી શકશે શહેરમાં પ્રદૂષણની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે. બે દિવસ કક્ર્યૂને કારણે શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ સામાન્ય રહ્યું હતું, પરંતુ ગઈકાલ સવારથી ફરી પ્રદૂષણ વધ્યું છે. આ બાબતને ધ્યાનમાં લઈ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા એક મોટો ર્નિણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત હવે શહેરમાં સવારે ૮ વાગ્યાથી રાતના ૯ વાગ્યા સુધી ટ્રેક્ટર, ટ્રક કે અન્ય ભારે વાહનની અવર-જવર પર પ્રતિબંધ છે. ત્યારે આરટીઓનાં કામકાજ માટે આવતાં વાહનોને સવારે ૧૦ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી અવર-જવરની છૂટછાટ મળશે.

છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં પ્રદૂષણની સમસ્યા ખૂબ જ વધી રહી છે.
ત્યારે હવે એને રોકવા માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા મોટર વેહિકલ એક્ટ અંતર્ગત એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર, હવેથી સવારે ૮ વાગ્યાથી રાતના ૯ વાગ્યા સુધી ટ્રેક્ટર, ટ્રક સહિતનાં ભારે વાહનોના શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે જે વાહનો આરટીઓમાં કામકાજ માટે આવવા માગતાં હોય એને સવારે ૧૦થી સાંજે ૬ સુધી જ છૂટછાટ આપવામાં આવી છે. જે વાહનનું કુલ વજન ૭૫૦૦ કિગ્રા સુધીનું થતું હોય તેવાં તમામ લાઈટ ગુડ્‌સ વેહિકલ તથા લાઈટ પેસેન્જર વેહિકલ શહેરની અંદર પ્રવેશ કરી શકશે, એ સિવાયનાં વેહિકલને શહેરમાં અવર-જવર કરવા પર સવારે ૮થી રાત્રે ૯ વાગ્યા દરમિયાન પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

શહેરમાં પ્રવેશતાં પેસેન્જર વાહનો, મિની બસ કે જેની કેપેસિટી ૩૩ સીટ સુધીની હોય એવાં ક્ષમતાવાળાં પેસેન્જર વાહનો શહેરની અંદર પ્રવેશ કરી શકશે. માત્ર આરટીઓ કચેરીનાં કામકાજ માટે નીચે દર્શાવ્યા મુજબના માર્ગ પર સવારે ૧૦થી સાંજે ૬ દરમિયાન લાઇટ વેહિકલને પ્રવેશ મળી શકશે. સુભાષબ્રિજ આરટીઓ કચેરીનાં કામ માટે આવવા અને જવા માટે સરદાર પટેલ રિંગ રોડનો ઉપયોગ કરીને ઝુંડાલ તપોવન સર્કલથી વિસત પેટ્રોલ પંપ, અચેર ચાર રસ્તા, ચીમનભાઈ પટેલ બ્રિજ પરથી માત્ર આરટીઓ કચેરીનાં કામ માટે આવી અને જઈ શકાશે.
સરદાર પટેલ રિંગ રોડ પરના સનાથલ સર્કલથી શાંતિપુરા સીધા બોપલ બાજુથી જમણી તરફ વળી તથા સરદાર પટેલ રિંગ ઉપરના સનાથલ સર્કલથી ઉજાલા સર્કલથી સીધા ઈસ્કોન સર્કલ ચાર રસ્તાથી શિવરંજની ચાર રસ્તાથી ડાબી તરફ વળી સીધા ૧૩૨ ફૂટ રિંગ રોડથી સીધા આરટીઓ કચેરી સુધી અવર-જવર કરી શકાશે. વસ્ત્રાલ આરટીઓ કચેરીનાં કામ માટે સરદાર પટેલ રિંગ રોડનો ઉપયોગ કરીને વસ્ત્રાલ ચાર રસ્તા થઈ આવી અને જઈ શકાશે.

જીવનજરૂરી ચીજવસ્તુઓ, જેમ કે દૂધ-શાકભાજી, ફ્રુટ્‌સ, પેટ્રોલ તેમજ ડીઝલનાં વાહનોને સવારે ૯થી બપોરે ૧ અને સાંજના ૪થી ૯ સિવાયના સમયગાળામાં આવવા-જવા માટે છૂટછાટ આપવામાં આવી છે.