ગુજરાતને એરંડા રાજ્ય તરીકે જાહેર કરવાના પ્રયત્ન હાથ ધરીશું: ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત

ભારતમાં એરંડાના ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન લગભગ ૮૫ ટકા જે આપણા સૌ માટે ગર્વની બાબત: ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત

અમદાવાદઃ અમદાવાદ ખાતે આયોજિત ૨૧મી વૈશ્વિક એરંડા પરિષદ ૨૦૨૩માં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત ઉપસ્થિત રહ્યાં હતા. મંત્રી બલવંતસિંહ રાજપુતે રંડાના બિયારણમાં સાતત્યપૂર્ણ ઊંચી ઉત્પાદકતા હાંસલ કરનાર પ્રગતિશીલ ખેડૂતોને ‘વિઠ્ઠલદાસ ઉદ્દેશી કેસ્ટર ઇનોવેશન એવોર્ડ’થી સન્માનિત કર્યા હતા.

આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, ૨૧મી વૈશ્વિક એરંડા પરિષદમાં આપ સૌ સમક્ષ ઉપસ્થિત રહીને ખૂબ જ આનંદ અનુભવાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત એ એરંડાના પ્રોસેસિંગ અને દિવેલના ઉત્પાદન માટેનું મહત્વનું કેન્દ્ર છે. અન્ય રાજ્યોના પણ મોટાભાગના એરંડાને પ્રોસેસિંગ માટે ગુજરાતમાં લવાય છે એ આપણા સૌ માટે ખૂબ જ ગર્વની બાબત છે.

ગુજરાત સરકાર દ્વારા અનેક બંદરો વિકસાવવામાં આવ્યા છે જેમાં દિવેલ તથા કેસ્ટર ઓઇલ ડેરિવેટિવસની નિકાસ માટેના મુખ્ય વિકાસ હબ તરીકે ઉભરી આવ્યા છે. સાથેજ પ્રયત્નશીલ સરકાર દ્વારા ગુજરાતમાં એરંડા અને દિવેલના પ્રોસેસિંગ ઉદ્યોગને ગુજરાત રાજ્યનો અગ્રતાનો ઉદ્યોગ બનાવવા માટે વધુ પ્રયત્નો હાથ ધરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભારતમાં એરંડાના ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન લગભગ ૮૫ ટકા જેટલું છે જે આપણા સૌ માટે ખૂબ જ ગર્વની બાબત છે. જેમ મધ્યપ્રદેશે પોતાને ‘સોયા સ્ટેટ’ જાહેર કર્યું છે રાજસ્થાને પોતાને ‘મસ્ટર્ડ સ્ટેટ’ જાહેર કર્યું છે તેમ ગુજરાતને પણ ‘એરંડા રાજ્ય’ તરીકે જાહેર કરવા માટે સરકાર પ્રયત્ન કરશે.

જેથી આ પ્રકારની જાહેરાતોથી મૂલ્યવાન પાકના વિકાસ તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકાશે અને લાંબાગાળે ઉત્પાદનમાં વધારો કરી શકાશે સાથે જ આપણા દેશ માટે કીમતી વિદેશી હૂંડિયામણો પણ વિકસાવી શકાશે તેમ તેઓ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત સરકારે રાસાયણિક ખાતરના ઉપયોગને સંતુલિત કરવા અને વૈકલ્પિક ખાતરોની પ્રોત્સાહન આપવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રોત્સાહન આપવા માટે પીએમ પ્રણામ કાર્યક્રમ શરૂ કરવાની દરખાસ્ત કરી છે. જેથી સરકારની આ નવી નીતિ સાથે એરંડાની ખોળનો ભારતમાં ખાતર તરીકે ઉપયોગ વધી શકે છે. જેથી દરેક ખેડૂત જે એરંડાની ખેતી કરતો હોય અને કોઈ ઔદ્યોગિક ક્ષેત્ર જે એરંડાને પ્રાધાન્ય આપી ધંધો કરતું હોય તેને માટે આ ખૂબ જ મહત્વની બાબત છે જેનાથી તે અવનવી બાબતો જાણી એરંડાનાં ઉત્પાદન ક્ષેત્રે પોતાનો અને અન્યનો વિકાસ સાધી શકે છે.

અંતે તેઓએ એરંડાના બિયારણમાં સાતત્યપૂર્ણ ઊંચી ઉત્પાદકતા હાંસલ કરનાર પ્રગતિશીલ ખેડૂતોને ‘વિઠ્ઠલદાસ ઉદેશી કેસ્ટર ઇનોવેશન એવોર્ડ્સ’ માં રોકડ એવોર્ડ્સ અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા.

આ કાર્યક્રમમાં સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશનના પૂર્વ પ્રેસિડેન્ટ અતુલ ચતુર્વેદી, સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશનનાં ચેરમેન શૈલેષ બાલધા અને વૈશ્વિક એરંડા પરિષદના સભ્યો, ખેડૂતો, એગ્રીકલ્ચર ક્ષેત્રે સંકળાયેલ ઉદ્યોગપતિઓ અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

જુઓ વીડિયો