ડીસા ટી.સી.ડી. ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતના હસ્તે ધ્વજવંદન કરાયું

“આપણું બંધારણ ભવ્ય ભૂતકાળનો ઐતિહાસિક વારસો અને ભવિષ્યાના શ્રેષ્ઠ ભારતની કલ્પનાઓના વૈચારીક ચેતનાનું જીવંત સ્વરૂપ છે.” મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત

“ભારત વિશ્વમાં પાંચમાં નંબરનું સૌથી મોટું અર્થતંત્ર છે અને વિશ્વની મહાસત્તા બનવા તરફ આપણો દેશ આગળ વધી રહ્યો છે” મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના ડીસા ટી.સી.ડી. ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ૭૪ મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી પ્રસંગે ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર વિભાગના મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય મહાપર્વ પ્રસંગે દેશના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતાં મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, વિશ્વની સર્વશ્રેષ્ઠ લોકશાહી ધરાવતા આપણા ભારત દેશમાં ગામના સરપંચથી લઇ વડાપ્રધાન પદ સુધી લોકોના સીધા પ્રતિનિધિઓ બિરાજમાન છે એ આપણી મહાન લોકશાહીની દેન છે ત્યારે કોઇપણ પ્રકારના ભેદભાવ વિના આધુનિક ભારતના નિર્માણમાં બંધારણની સંકલ્પનાને સાકાર કરવા આપણે સૌ કટીબધ્ધ બનીએ. તેમણે કહ્યું કે, અભાવમાં માણસ ઘડાય છે એ હિસાબે જ્યારે આપણા દેશ ઉપર બ્રિટનનું રાજ હતું ત્યારે દેશના નેતાઓ ગુલામીમાંથી દેશને મુક્ત કરી સ્વરાજ સ્થાપવા ઝઝુમ્યા છે અનેક નવયુવાનોએ શહીદી વ્હોરી છે ત્યારે આજે આપણે આઝાદીના મીઠા ફળો ચાખી રહ્યા છીએ. આઝાદી મળ્યા પછી વર્ષ- ૧૯૫૦માં આજના દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું અને ખરા અર્થમાં લોકોને પોતાના દેશનો વહીવટ ચલાવવાની સત્તાઓ પ્રાપ્ત  થઇ હતી. મંત્રીશ્રીએ કહ્યું કે, આપણું બંધારણ એ ભવ્ય ભૂતકાળનો ઐતિહાસિક વારસો અને ભવિષ્યમના શ્રેષ્ઠ ભારતની કલ્પનાઓના વૈચારીક ચેતનાનું જીવંત સ્વરૂપ છે. બંધારણે તમામ નાગરિકોને વિચાર, વાણી, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા આપી છે તથા તક અને દરજ્જાની પણ સમાનતા બંધારણની જ દેન છે. વિશ્વના ઘણા દેશોમાં મહિલાઓએ મતાધિકાર મેળવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો જ્યારે આપણા બંધારણની વિશેષતા એ છે કે તેના અમલની સાથે જ મહિલાઓને મતાધિકાર આપવામાં આવ્યો હતો તેમ તેમણે જણાવ્યું હતું.

આપણા દેશની અતિ પ્રાચીન સંસ્કૃતિના વિશાળ વારસાને હૈયામાં ધારણ કરી ફરી ભવ્ય ભારતના નિર્માણ માટે કટીબધ્ધ થવાની નેમ વ્યક્ત મંત્રીશ્રીએ કહ્યું કે, આઝાદી પછી આપણે ૭૫ માં વર્ષમાં પ્રવેશીને અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વિશ્વ કલ્યાણની તથા અંત્યોદય અને સર્વાગી વિકાસના મંત્રને મૂર્તમંત કરવા કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક, સામાજિક, શૈક્ષણિક જેવા અનેક ક્ષેત્રોમાં ઐતિહાસિક કામો કરવામાં આવી રહ્યા છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ સ્વચ્છ ભારત અભિયાન, તંદુરસ્ત ભારત અભિયાન, યોગ દિવસ, ખેલો ઇન્ડિયા જેવા અભિયાનોથી સશક્ત રાષ્ર્અભનું નિર્માણ થઇ રહ્યું છે. વિશ્વના વિકસીત અને વિકાસશીલ એવા ૨૦ દેશોની બનેલી જી-૨૦ નું પ્રમુખપદ આ વર્ષે ભારત પાસે છે અને ગુજરાતમાં પણ તેની ૧૫ જેટલી મહત્વની બેઠકો થવાની છે જેનાથી દેશના ઉદ્યોગ, રોજગારી, નવી તકો, સમતોલ વિકાસ અને ટેકનીકલ શિક્ષણ જેવા વિકાસના નવા રસ્તાઓ ખુલશે અને અઢળક તકો પ્રાપ્ત થશે.

મંત્રીશ્રીએ ગ્રામિણ ક્ષેત્રના વિકાસ પર ભાર મુકતા જણાવ્યું કે, મહાત્મા ગાંધીજી કહેતા કે, સાચું ભારત ગામડાઓમાં વસે છે તેને ધ્યાનમાં રાખી આપણ પ્રધાનમંત્રીશ્રીએ ગામડાઓના વિકાસ માટે અનેક યોજનાઓમાં અમલી બનાવી છે. જળ જીવન મિશન, ગ્રામ વિકાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, કિસાન સન્માન નિધિ, આયુષ્યમાન ભારત યોજના અને ગરીબ કલ્યાણની આવી યોજનાઓથી ગ્રામિણ વિસ્તારના લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું કે, કોરોના મહામારીના સમયે વિકસીત દેશો પણ ઘુંટણીએ પડી ગયા હતા ત્યારે આપણા વડાપ્રધાનશ્રીએ ઝડપી નિર્ણય શક્તિનો પરિચય કરાવી સમયસરના પગલાંઓ ભરી દેશમાં રસીકરણની ઝુંબેશ ચલાવી અને દેશને મહામારીમાંથી હેમખેમ બહાર લાવ્યો એટલું જ નહીં મૈત્રી ભાવે વિશ્વના અન્ય દેશમાં રસીના ડોઝ પહોંચાડી લોકોના જીવન બચાવીને વસુધૈવ કુટુંબકમની ભાવનાને સાર્થક કરી બતાવી છે એ આપણા માટે આનંદ અને ગૌરવની બાબત છે.

મંત્રીશ્રીએ જણાવ્યું કે, સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, ડિજીટલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા વગેરે યોજનાઓથી દેશના યુવાનોમાં સ્કિલ, ટેકનોલોજીની અને રોજગારીનું સર્જન થયું છે અને તેના કારણે દેશ વિકાસના માર્ગે ખુબ ઝડપથી આગળ વધી રહ્યો છે. નમામિ ગંગે, અમૃત પ્લાતન, સેતુ ભારતમ, હ્રદય પ્લાોન, પ્રધાનમંત્ર ગતિ શક્તિ, ભારત માલા પ્રોજેક્ટ, દિલ્હી- મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર જેવા વિકાસના આયામોથી સુવિધાઓનો તેજ ગતિથી વિકાસ થઇ રહ્યો છે જેના કારણે રોજગારીની નવી તકો સાથે દેશનો આર્થિક વિકાસ થઇ રહ્યો છે.

મંત્રીશ્રીએ કહ્યું કે, આગામી ૨૦૩૬માં ઓલમ્પિકના આયોજન માટે ગુજરાતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તાજેતરમાં આંદમાન અને નિકોબારના ૨૧ ટાપુઓને પરમવીર ચક્ર ધારકોના નામ આપવામાં આવ્યા છે. આદિવાસી સમુદાયના વીરોના યોગદાનને બિરદાવવા દર વર્ષે ૧૫ મી નવેમ્બરે જનજાતિય ગૌરવ દિવસ મનાવવામાં આવે છે. આ તમામ પ્રયાસોથી એક ભારત શ્રેષ્ઠી ભારતની પરિકલ્પનાને સાકાર કરવી છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતેઅ જણાવ્યું કે, આ વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને તે આપણા જિલ્લા માટે ખુબ મહત્વનું છે કારણ કે ગુજરાતમાં સૌથી વધારે બાજરાનું ઉત્પાદન બનાસકાંઠામાં થાય છે. ભારત હાલ વિશ્વમાં પાંચમાં નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની ચુક્યું છે અને વિશ્વની મહાસત્તા બનવા તરફ આપણો દેશ આગળ વધી રહ્યો છે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ વધવાનો સંકલ્પ સાકાર કરવાની દિશામાં મક્કમતાથી આગળ વધી રહ્યું છે. દેશના ઔધોગિક આઉટપુટમાં ૧૮ ટકા યોગદાન અને દેશના જીડીપીમાં ૯ ટકાના યોગદાન સાથે ગુજરાત મોખરે છે. સતત ત્રણ વર્ષથી સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મન્સ સ્ટેટ તરીકે એવોર્ડ મેળવી યુવાનોમાં ઉદ્યોગસાહસિકતા વિકસાવવા માટેનું ઉત્તમ વાતાવરણ હોવાનું ગુજરાતે સાબિત કર્યુ છે.

મંત્રીશ્રીએ કહ્યું કે, નારી ગૌરવ નીતિથી ગુજરાતની મહિલાઓના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થયું છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના દ્વારા ગર્ભવતી અને ધાત્રી માતાઓને પોષણક્ષમ આહાર આપવામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ૩ લાખ ૯૮ હજારથી પણ વધારો આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. નળ થી જળ યોજના અંતર્ગત તમામ ઘરને પાણી પુરૂ પાડવાની વડાપ્રધાનશ્રીની પરિકલ્પનાને ગુજરાતે ૧૦૦ ટકા સાકાર કરી છે. વ્યાજખોરીને ડામવા તથા નાગરિકોને પોલીસને લગતી સુવિધાઓ પુરી પાડવા રાજ્ય સરકારે ઇ-એફ.આર.આઇ.ની સુવિધા લોન્ચ કરી છે. તેમણે બનાસકાંઠા જિલ્લાના વિકાસની વાત કરતા જણાવ્યું કે, આ જિલ્લાએ ખેતી, પશુપાલન અને બાગાયત સહિત ઘણા બધા ક્ષેત્રોમાં વિકાસની નવી હરણફાળ ભરી છે.

આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે જિલ્લાના વિકાસ માટે કલેકટરશ્રી આનંદ પટેલને રૂ. ૨૫ લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. ડીસાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે પોલીસ દ્વારા હોર્સ અને ડોગ શો તથા શ્રી શક્તિ સેવા કેન્દ્રના વિદ્યાર્થીઓ દ્વારા બેન્ડ રજૂ કરાયું હતું. વિશિષ્ટ કામગીરી કરનારા અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ ક્ષેત્રોમાં સારી કામગીરી કરનારા વ્યક્તિઓનું મંત્રીશ્રીના હસ્તે સન્માન અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે લોકસભા સાંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલ, રાજ્યસભા સાંસદશ્રી દિનેશભાઇ અનાવડીયા, ધારાસભ્યો સર્વશ્રી પ્રવિણભાઇ માળી, શ્રી માવજીભાઇ દેસાઇ, શ્રી અનિકેતભાઇ ઠાકર, કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેકટરશ્રી આર. એન. પંડ્યા, નગરપાલિકા પ્રમુખશ્રી રાજુભાઇ ઠક્કર, પૂર્વ ધારાસભ્યોશ્રી શશીકાંતભાઇ પંડ્યા અને શ્રી ગોવાબાઇ રબારી સહિત પદાધિકારીઓ- અધિકારીઓ, કર્મચારીઓ અને પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને નગરજનો ઉપસ્થિઅત રહ્યા હતા