તાઉ-તે વાવાઝોડામાં અસરગ્રસ્ત થયેલ પશુપાલકો-માલધારીઓ માટે વિશેષ પેકેજ જાહેર કરો

ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાને લીધે સૌથી વધુ અસર ખેતી અને વીજ પુરવઠાને થઈ છે. વાવાઝોડાને લીધે બાગાયતી પાકો સંપૂર્ણ રીતે નાશ પામ્યાં છે. સૌરાષ્ટ્ર અને રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે પશુધન માટેનો ઘાસચારો પણ નાશ પામ્યો છે. ત્યારે કોંગ્રેસે સરકાર પાસે પશુપાલકો અને માલધારીઓ માટે સવિશેષ રાહત પેકેજની માંગ કરી છે.

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખીને માંગ કરી છે કે રાજ્યમાં કોરોનાના કારણે તમામ લોકો આર્થિક અને માનસિક રીતે હેરાન થયાં છે.

હજી આવનારા દિવસોમાં પણ આવી જ પરિસ્થિતિને સહન કરવાની છે. બીજી તરફ તાઉ-તે વાવાઝોડામાં પશુપાલકો અને માલધારીઓને મોટુ નુકસાન થયું છે. કાચા મકાનો તુટી ગયાં છે. તેમની ઘરવખરી નાશ પામી છે. તેમજ પશુઓ માટેનો ઘાસચારો પણ વરસાદમાં પલળી ગયો છે. જેથી હાલમાં ચારેય બાજુથી આવનારી કુદરતી આપદાઓ સામે માલધારીઓ અને પશુપાલકો બેવડો માર સહન કરી રહ્યાં છે. જેથી તેમની માટે સવિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવે.