બનાસકાંઠામાં ૪.૨ ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

ગુજરાતની ધરા ફરી એકવાર ધ્રુજી છે. આજે વહેલી સવારે બનાસકાંઠા જિલ્લાના ડિસા,પાલનપુર સહિત આજુ બાજુના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. બનાસકાંઠાના જિલ્લામાં ૪.૨ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. અચાનક ભૂકંપના આંચકાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો તાત્કાલીક ધોરણે ઘરની બહાર દોડી આવ્યા હતા.જો કે ભૂકંપના કારણે કોઇ જાનહાનીના સમાચાર નથી. તો બીજી તરફ નેપાળમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર બંને ભૂકંપની તીવ્રતા ૪.૮ અને ૫.૯ માપવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર પહેલો ભૂકંપ રાત્રે ૧૧.૫૮ કલાકે આવ્યો હતો, જ્યારે બીજો ૧.૩૦ કલાકે આવ્યો હતો. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. ભૂકંપનું કેન્દ્ર બાજુરાના દહાકોટમાં જણાવવામાં આવી રહ્યું છે. આ પહેલા ૧ એપ્રિલે દોલાખા જિલ્લાના સુરી ખાતે મધ્યમ તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. તેની તીવ્રતા ૫.૨ માપવામાં આવી હતી. ઓખાલધુંગા, રામેછાપ, સિંધુપાલ ચોક અને નુવાકોટ જિલ્લા તેમજ કાઠમંડુ ખીણમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ અગાઉ નર્મદા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કેવડિયાથી ૫ કિલોમીટર દૂર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે ૩.૪૦ મિનિટે ભૂકંપનો અનુભવ થયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર ૩.૧ હોવાની માહિતી મળી હતી.