અમદાવાદમાં જળસંચયના પ્રોજેક્ટનું અમિતશાહના હસ્તે ખાતમૂહૂર્ત

અમદાવાદમાં શેલા ખાતે તળાવના નવિનીકરણ અને સોંદર્યીકરણ કાર્યક્રમનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લોકાર્પણ કર્યુ હતું. આ તળાવનું પાંચ કરોડથી પણ વધારે રકમના ખર્ચે સૌંદર્યીકરણ કરવામાં આવશે.

આ પ્રોજેક્ટમાં એક લેક ઝોન હશે અને બીજો પબ્લિક પાર્ક ઝોન હશે. શેલાના બારમાસી તળાવની ઇનફ્લો અને આઉટફ્લોની ડિઝાઇનમાં સિટી સ્ટોર્મ વોટર મેનેજમેન્ટ પ્લાનને એકીકૃત કરીને આખા વિસ્તાર માટે ફ્લડ પ્રૂફિગં ડિવાઇસીસ સ્થાવામાં આવશે. આ ઉપરાંત અસરકારક ભૂગર્ભ જળ રિચાર્જ થાય એવી વ્યવસ્થા કરવામાં આવશે. તેની સાથે મિયાવાકી પદ્દતિથી વાવેતર કરીને તળાવની આસપાસ શહેરી વન પણ બનાવાશે. શેલાના આ જળાશયના પબ્લિક પાર્કમાં વોક-વે હશે, જળાશય પર ફૂટબ્રિજ હશે, રમતના સાધનોની સાથે બાળકો માટે રમતનું મેદાન હશે. શેડવાળી બેઠકો ધરાવતા પિકનિક સ્પોટ હશે. વ્યાયામ અને યોગ માટે અલગ વ્યવસ્થા હશે.

આઉટડોર જિમ્નેશિયમની સાથે સિનિયર સિટિઝન સીટિંગ એરિયા પણ રાખવામાં આવશે. મૂર્તિ વિસર્જન માટે કમ્યુનિટી સ્પેસ ખાસ રાખવામાં આવી છે. પાર્કિંગ વ્યવસ્થાની સગવડ પણ વિકસાવવામાં આવશે. ફક્ત આટલું જ નહીં ગામના પશુઓ માટે તળાવ ઝોનની બહાર ઉપયોગમાં લેવાતા પશુમાર્ગો પર પીવાના પાણીની ટાંકીઓ ગોઠવવામાં આવશે. આમ શેલાના તળાવનું નવિનીકરણ અને સૌંદર્યીકરણ થતાં શેલા ગામ ઉપરાંત આસપાસના નવા વિકસતા વિસ્તારોને અનેક સગવડો મળશે. સાણંદ તાલુકા અને અમદાવાદ જિલ્લાના ખેડૂતોને ૨૦૨૪ પહેલા નર્મદાનું પાણી મળશે. સાણંદના ખેડૂતો લાંબા સમયથી નર્મદાના કમાન્ડ એરિયામાં તેમનો સમાવેશ કરવાની માંગ કરી રહ્યા છે.

પાણી બચાવવા માટે દરેક જિલ્લામાં ૭૫ તળાવ બનાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આઝાદીના અમૃતોત્સવ નિમિત્તે આ ૭૫ તળાવ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તળાવના લીધે આસપાસની જમીનમાં પાણીનું સ્તર પણ ઊંચે આવશે. સાણંદ આગામી સમયમાં વિકાસનું મોટું કેન્દ્ર બનશે અને રાજકોટનો છ લેનનો હાઇવે સાણંદ થઈને પસાર થાય છે તે તેના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે.ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના આગમનના પગલે એક પછી એક લોક કલ્યાણ કાર્યક્રમોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યુ છે. આ પ્રકારના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી પોતે અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પોતે સક્રિય રીતે ભાગ ભજવી હ્યા છે. આગામી ચૂંટણી આમ પણ તેમના ચહેરા પર લડાવવાની છે.