રાજ્યમાં ચોમાસુ સારૂં છતાં ઉનાળાની શરૂઆતથી જ પાણીની સમસ્યા શરૂ

ગુજરાતમાં ઉનાળાનો પ્રારંભ થઇ ગયો છે. ચોમાસુ સારૂં છતાં ઉનાળાના પ્રારંભ થી પાણીની વિકટ સમસ્યા સર્જાઇ છે. રાજ્યના મહદઅંશે સૌરાષ્ટ્ર સહિતના જળાશયોમાં જળસ્ત્રોત નીચા ઉતરી જતાં આગામી સમયમાં પણ પાણીની વિકટ સમસ્યા સર્જાઇ શકે છે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ સારૂં રહ્યું છે. ચોમાસા સમયે રાજ્યના ૨૦૩ જળાશયો પૈકી સૌરાષ્ટ્ર સહિતના અનેક જળાશયો છલકાયાં હતા. પરંતુ હાલ ઉનાળાના પ્રારંભથી જ જળાશયોમાં જળસ્ર્રોત નીચા જતાં મધ્યહાન ઉનાળા સમયે રાજ્યના અનેક વિસ્તારોમાં વિકટ જળસમસ્યા સર્જાવાની દહેશત વર્તાઇ રહી છે.

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ રાજ્યના ૧૪૦ જળાશયોમાં માત્ર ૪૫ થી ૫૦ ટકા જ જળસંગ્રહ રહ્યો છે. રાજ્યના ચાર જિલ્લા સુરેન્દ્રનગર – દેવભૂમિદ્વારકા – મોરી અને પોરબંદરમાં આગામી સમયમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઇ શકે છે. આજે આ જિલ્લાના જળાશયોમાં ૫૦ ટકા કરતાં પણ ઓછો જળસંગ્રહ રહ્યો છે. ચોમાસુ સારૂં રહેતાં ખેતીના પાક અને વાવેતરની દ્રષ્ટિએ ખેડૂતોને ફાયદો થશે, એવી આશા બંધાઇ હતી.

પરંતુ ચોમાસા બાદ હાલના સંજોગોમાં જળસ્ત્રોત નીચા ઉતરતાં હવે આગામી સમયમાં જળસમસ્યા વિકટ બને અને પીવાના પાણીની સમસ્યા વિકટ બની શકે છે. જો કે ગુજરાત સરકાર દ્વારા પાણીની સમસ્યા નિવારવા સૌ-ની યોજનાનો લાભ પ્રજાને આપવા સરકાર કટિબદ્ધ છે,પરંતુ જળાશયોના નીચા સ્ત્રોતના કારણે જળસમસ્યા વિકટ બનવાની સંભાવના નકારી શકાય એમ નથી.