અમદાવાદી મનોદિવ્યાંગ કોંગો પ્લેયર પાર્થ બીરજે દક્ષિણ કોરિયાના મ્યુઝિક ફેસ્ટિવલમાં મચાવશે ધૂમ

અમદાવાદઃ અમદાવાદ, ગુજરાત અને ભારત માટે ગૌરવપૂર્ણ પ્રસંગ બનવા જઈ રહ્યો છે. અમદાવાદી મનોદિવ્યાંગ કોંગો પ્લેયર પાર્થ બીરજેની આગામી દિવસોમાં  દક્ષિણ કોરિયામાં યોજાનારા ઇન્ટરનેશનલ મ્યુઝિક આર્ટ ફેસ્ટિવલમાં સમગ્ર ભારતમાંથી પસંદગી થવા પામી છે.

નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક નિલેશ પંચાલના જણાવ્યા અનુસાર આગામી તારીખ ૧થી ૬ ઓગસ્ટ દરમિયાન સ્પેશિયલ ઓલમ્પિક કોરિયા દ્વારા યોજાનાર ઇન્ટરનેશનલ મ્યુઝિક આર્ટ ફેસ્ટિવલમાં ભારતભરમાંથી આવેલ 10 એન્ટ્રીઓમાંથી એક માત્ર નવજીવન ટ્રસ્ટ સાથે જોડાયેલ વિદ્યાર્થી અને કોંગોપ્લેયર  પાર્થ બીરજેની પસંદગી થવા પામી છે.

તેમની સાથે સંસ્થાના સંચાલક  નિલેશ પંચાલ પણ દક્ષિણ કોરિયા જશે. 9 દેશોના મ્યુઝિક પ્લેયર કે જેઓ મનોદિવ્યાંગતા ધરાવે છે, તેમનો આ મ્યુઝિક ફેસ્ટિવલ છે. પાર્થ બિરજેને તાલીમ તેના પિતા દેવેશ બિરજે વર્ષોથી આપી રહ્યા છે અને હરીફાઈલક્ષી તાલીમ હાલના સંચાલક  નિલેશ પંચાલના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. ટેલેન્ટેડ મનોદિવ્યાંગ લાભાર્થીઓના ટેલેન્ટને દેશ-વિદેશમાં રજુ કરવાનો પ્રવાહ આ મુજબ ચાલતો રહેશે એવો નવજીવનનાં ટ્રસ્ટીઓએ વિશ્વાસ દાખવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડૉ. હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ડિસેબલ કે જ્યાં શાળામાં તાલીમ લેતા અને સંસ્થા સાથે જોડાયેલ મનો દિવ્યાંગ બાળકોના આર્ટ,ડાન્સ, મ્યુઝિક,સ્પોર્ટ્સમાં રહેલા ટેલેન્ટને જાણીને તેને પર્ફોર્મન્સ માટે દેશ-વિદેશમાં લઈ જવા માં આવે છે. તાજેતરમાં એંજલિના નામની દીકરીને સ્પેશિયલ ઓલમ્પિકમાં વર્લ્ડ સમર ગેમમાં બર્લિન ખાતે સ્કેટિંગ રમતમાં ભાગ લેવા ગઈ હતી. અને સિલ્વર મેડલ જીતી તેણે દેશનું નામ રોશન કર્યું હતું.

જુઓ વીડિયોઃ