ગુજરાતમાં નહિ પણ સમગ્ર ભારતમાં ૧૦૦ કરોડથી વધુની ઠગાઈ મામલે અમદાવાદ પ્રથમ

અમદાવાદ: ગુજરાતમાં નહિ પણ સમગ્ર ભારતમાં ૧૦૦ કરોડથી વધુની ઠગાઈ મામલે અમદાવાદ પ્રથમ છે. ગુજરાત રાજ્યમાં છેતરપિંડીના ૩,૬૭૦ બનાવ બન્યા છે. તેમાં ૪૨,૯૬૮ કેસની ટ્રાયલ કોર્ટમાં પેન્ડિંગ છે. તેમજ ૧,૧૦૪ આરોપી નિર્દોષ છૂટયા છે તથા માત્ર ૨૩ને સજા થઇ છે.

દેશમાં લોકો સાથે છેતરપિંડી, વિશ્વસઘાત, બનાવટ અને ઠગાઈ આચરવાના ગુનાનો ગ્રાફ સતત વધી રહ્યાનું જોવા મળી રહ્યું છે. ૨૦૨૦માં છેતરપિંડીના બનાવો ૧,૪૫,૭૫૪ હતા જેની સામે ૨૦૨૧માં વધીને ૧,૭૪,૦૧૩ અને ૨૦૨૨માં આ આંકડો ૧,૯૩,૩૮૫ પર પહોંચ્યો હતો. આમ, આરોપીઓને કાયદાનો સહેજ પણ ડર ના રહ્યો હોય તેવા ઘાટ એનસીઆરબીના આંકડા પરથી સર્જાયો છે.

છેલ્લા કેટલાક વર્ષથી ગંભીર ગુના જેવા હત્યા, લૂંટ, ધાડ અને ખંડણીના જેવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે, તો બીજી તરફ છેતરપિંડી જેવા આર્થિક ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પાછળના કારણો અંગે કાયદાના નિષ્ણાતો જણાવે છે કે, આર્થિક ગુનામાં આસાનીથી લાખો અને કરોડો રૂપિયા મળી જાય તેમજ જામીન મળવાની શક્યતા વધી જતી હોય આવા બનાવો વધી રહ્યા છે. આ મામલે સરકારે કડક કાયદા બનાવવાની તેમજ છેતરપિંડીના આરોપીઓ અને તેમના પરિવારજનોની મિલકત ટાંચમાં લેવાય તેવી કડક જોગવાઈઓ અમલમાં મૂકવી પડશે, નહી તો મુદ્દો આવનાર દિવસોમાં મોટી સમસ્યા તરીકે ઉભી આવે તેવી સ્થિતી છે.

કોર્ટમાં આર્થિક ગુનાના કેસ મામલે જોઈએ તો ૧૧૦૪ આરોપી અગાઉ નિદોર્ષ છૂટયાનું તેમજ માત્ર ૨૩ કેસના આરોપીઓને સજા પડી છે. આમ, કોર્ટમાં પણ કેસ પૂરવાર કરવામાં ફરિયાદ પક્ષ અને પોલીસની નિષ્ફળતા આંખે ઉડીને દેખાય છે. એનસીઆરબી (નેક્નલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરો)ના આંકડા જોઈએ ગુજરાતમાં છેતરપિંડી, વિશ્વસઘાત અને ઠગાઈના ૨૦૨૨માં ૩૬૭૦ બનાવો નોંધાયા જેમાં સો કરોડથી વધુની ઠગાઈના ત્રણ ગુના છે. આ ત્રણે ગુના અમદાવાદ શહેરમાં દાખલ થયા હોવાથી સમગ્ર દેશમાં મેટ્રોપોલીટન સીટીમાં અમદાવાદ શહેર આ ગુનામાં મોખરેના સ્થાન પર છે. ગુજરાત રાજ્યમાં ૩૬૭૦ બનાવો બન્યા જેમાં સૌથી વધુ ગુના એકથી દસ લાખ સુધીની છેતરપિંડીના ૧૧૪૫ બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. રાજ્યમાં ૪૨૯૬૮ આર્થિક ગુનાની ટ્રાયલ બાકી હોવાનું, ૧૨૨૧ કોર્ટએ કાઢી નાંખ્યા તેમજ ૧૧૭૫ કેસની ટ્રાયલ ચાલી હતી. આ મામલે કોર્ટએ ૨૧ કેસ બંધ કર્યા, ફરિયાદીએ છ કેસ પરત ખેંચ્યા, એક કેસ સમાધાનને કારણે તેમજ ટ્રાયલ વગર ૧૨ કેસ સહિત કુલ ૧૫ કેસ કાઢી નાંખ્યા હતા.