બિહારના ભાગલપુરમાં ગંગા નદીના પુલનો ૨૦૦ મીટર જેટલો ભાગ પડી ગયો

બિહારના ભાગલપુર જિલ્લામાં રવિવારે સાંજે એક મોટો અકસ્માત થયો હતો. ભાગલપુરમાં નિર્માણાધીન પુલ ગંગા નદીમાં પડ્યો. ખાગરિયાના આગવાની-સુલતાનગંજ વચ્ચે આ નિર્માણાધીન પુલ બનાવવામાં આવી રહ્યો હતો. પુલનો ૨૦૦ મીટર જેટલો ભાગ નદીમાં પડી ગયો છે. નિર્માણાધીન પુલ ધરાશાયી થવાની ઘટના રવિવાર સાંજની છે. જ્યારે આ અકસ્માત થયો હતો. તે સમયે બ્રિજ પર કોઈ હાજર નહોતું. આના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. બિહાર સરકારે પણ પુલ ધરાશાયી થવાની ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. સરકારે કહ્યું કે જવાબદારોની ઓળખ કર્યા બાદ તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પુલનો શિલાન્યાસ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કર્યો હતો.

હાલમાં જ ભાગલપુરના ધારાસભ્યએ પણ આ પુલની ગુણવત્તા પર સવાલો ઉઠાવ્યા હતા. ગત વર્ષે પણ આ પુલનો એક ભાગ નદીમાં પડી ગયો હતો. એસપી સિંગલા કંપની આ બ્રિજ બનાવી રહી છે. સીએમ નીતિશ કુમારે ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૪માં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો. આ પુલનું નિર્માણ કાર્ય માર્ચ ૨૦૧૫થી ચાલી રહ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ નિર્માણાધીન બ્રિજની કિંમત લગભગ ૧૭૧૦.૭૭ કરોડ રૂપિયા છે. આ પુલનું બાંધકામ આઠ વર્ષથી ચાલી રહ્યું હતું. આ પુલની કુલ લંબાઈ લગભગ ત્રણ કિલોમીટર છે. આ ઘટના બાદ વિપક્ષે નીતિશ સરકાર પર નિશાન સાધવાનું શરૂ કરી દીધું છે. બિહારના વિપક્ષના નેતા વિજય કુમાર સિન્હાએ કહ્યું કે જ્યારે સરકારના ઈરાદામાં ખામી હોય તો કોઈ પણ નીતિ કેવી રીતે સફળ થઈ શકે. આ સાથે તેમણે નીતિશ સરકાર પર કમિશનનો આરોપ લગાવ્યો છે. તે જ સમયે, બીજેપી નેતા શાહનવાઝ હુસૈને કહ્યું કે ભ્રષ્ટાચારના ભારને કારણે આ પુલ તૂટી પડ્યો છે.

સિંગલા કંપની અને સરકાર વચ્ચે મિલીભગત ચાલી રહી હતી. આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ કહ્યું કે આ પુલ ભ્રષ્ટાચારનો શિકાર બન્યો છે. નીતિશ કુમારે આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરાવવી જોઈએ. જણાવી દઈએ કે બિહારમાં પુલ તૂટી જવાની આવી જ ઘટના ગયા વર્ષે બેગુસરાઈ જિલ્લામાં પણ બની હતી. જિલ્લામાં બુધી ગંડક નદી પર નિર્માણાધીન પુલનો એક ભાગ ડિસેમ્બર ૨૦૨૨માં તૂટી પડ્યો હતો. આ અકસ્માતમાં પણ કોઈ જાનહાની થઈ નથી. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, બેગુસરાયના આ ૨૦૬ મીટર લાંબા પુલમાં તિરાડો પડી ગઈ હતી. પુલના પીલર નંબર ૨ અને ૩ વચ્ચેનો ભાગ નદીમાં પડી ગયો હતો.