ચીનના સિચુઆનમાં ભૂસ્ખલન, ૧૪ લોકો દટાયા, ૫ ગુમ

ચીનના દક્ષિણ પશ્ચિમમાં સ્થિત સિચુઆન પ્રાંતમાં ભૂસ્ખલનની મોટી ઘટના જોવા મળી છે. આ અકસ્માતમાં ૧૪ લોકોના મોત થયા છે અને પાંચ લોકો લાપતા હોવાનું કહેવાય છે. ઘટના અંગે, ત્યાંની સ્થાનિક સરકારે જણાવ્યું છે કે લેશાન શહેરની નજીક જિનકોઉહે સ્થિત ફોરેસ્ટ્રી સ્ટેશન પર શનિવારે સવારે ૬ વાગ્યે પર્વતનો એક ભાગ તૂટી પડ્યો હતો. નિવેદન અનુસાર, શનિવારે બપોરે ૩ વાગ્યા સુધી ૧૪ લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે પાંચ લોકો ગુમ છે. દુર્ઘટનાના સમાચાર મળતાની સાથે જ રાહત અને બચાવ કાર્ય માટે ૧૮૦ લોકોની ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. આ સાથે જ એક ડઝનથી વધુ બચાવ ઉપકરણો પણ સ્થળ પર મોકલવામાં આવ્યા છે. જે વિસ્તારમાં ભૂસ્ખલનની આ ઘટના બની છે તે વિસ્તાર પહેલેથી જ ખૂબ જ અસુરક્ષિત માનવામાં આવે છે. જ્યાં અકસ્માત થયો તે સ્થળ પ્રાંતીય રાજધાની ચેંગડુથી લગભગ ૨૪૦ કિલોમીટર દક્ષિણમાં પર્વતીય વિસ્તાર છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ચીનના પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનની અનેક ઘટનાઓ સામે આવી છે. ખાસ કરીને વરસાદના મહિનામાં ઘટનાઓ વધી જાય છે. ૨૦૧૯માં મુશળધાર વરસાદ પછી પણ આ વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટનાઓ જોવા મળી હતી. આ પ્રાંત પણ ભૂકંપ ઝોનમાં આવે છે, આવી સ્થિતિમાં અહીં અનેક જીવલેણ ભૂકંપ આવી ચૂક્યા છે. ૨૦૦૮માં આ પ્રાંતમાં ૭.૯ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જ્યારે ૮૭ હજારથી વધુ લોકો કાં તો માર્યા ગયા હતા અથવા ગુમ થયા હતા. જેમાં ૫,૩૩૫ શાળાના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જોકે, આ વિસ્તારમાં રહેતા લોકોની સુરક્ષા માટે ચીન દ્વારા સતત પગલા લેવામાં આવી રહ્યા છે, પરંતુ ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ગયા વર્ષે ડિસેમ્બરમાં ચીનના ઉત્તર-પશ્ચિમના શિનજિયાંગ વિસ્તારમાં સોનાની ખાણ ભરાઈ ગઈ હતી. અકસ્માત સમયે તેમાં ૪૦ મજૂરો કામ કરી રહ્યા હતા. આ પછી, મોંગોલિયા ક્ષેત્રમાં ફેબ્રુઆરીમાં ખાણ તૂટી પડવાને કારણે ૫૦ લોકોને ગુમ અથવા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.